(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
જામનગર એસઓજીની ટીમે લાલપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડી નશાકારક ચોકલેટના વેચાણનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. એલસી-૮ માર્કેટમાં ભગવતી હોટલ એન્ડ માર્કેટની બાજુમાં આવેલી નામ વગરની પતરાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
એસઓજી સ્ટાફને બાતમી મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન દુકાનમાંથી ‘‘તરંગ મદન મોદક વટી, આયુર્વેદિક ઔષધ’’ નામની નશાકારક ચોકલેટ કુલ ૧૦૪૦ નંગ, જેની કિંમત રૂ. ૧૦૪૦ હોવાનું જાણવા મળ્યું હતું, તે જપ્ત કરવામાં આવી હતી. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં પોલીસે ભીખુભા અમરસંગ જાડેજા (ઉ.વ. ૪૭), ધંધો-વેપાર, રહે. આરબલુસ ગામ, તા. લાલપુર, જી. જામનગરને ઝડપી પાડ્યો હતો.જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા તથા મયુરરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

