Bengaluru તા.23
ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવ ઉર્ફે હર્ષવર્ધિની રાવ એક વર્ષ બાદ બેંગલુ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવશે. DRI(ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની અટકાયતની મુદત 22 એપ્રિલના રોજ પૂર્ણ થતા હવે તેની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે રાન્યા રાવ સસ્પેન્ડેડ DGP રેન્કના પોલીસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે.
માર્ચ 2025માં દુબઈથી બેંગલુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી રાન્યા રાવને DRI એ બાતમીના આધારે ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી વિશેષ રીતે તૈયાર કરેલા બોડી જેકેટમાં છુપાવેલું 14.213 કિલો સોનું મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 12.56 કરોડ રૂપિયા હતી.
ત્યારબાદ તેના નિવાસસ્થાને દરોડા પાડતા 2 કરોડથી વધુની રોકડ અને જ્વેલરી પણ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં કુલ 102 કરોડ રૂપિયાની કિંમતના સોનાની દાણચોરી કરી હતી.

