Mumbai,તા.10
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ઓસ્ટ્રેલિયાએ વીઝા ન આપતાં તેઓ હવે સિડનીમાં તેમના સ્ટેજ શોમાં ભાગ લઇ શકે તેમ ન હોવાથી આ શો કેન્સલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મોહનલાલે સિંગાપોરથી વિડિયો બનાવી આ મામલે આયોજકો અને શોમાં ભાગ લેનારાઓની માફી માંગી હતી. મોહનલાલે પોતાની નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ માટે હું કોઇને દોષ આપવા માંગતો નથી. મોહનલાલે તેમના વિડિયોમાં જણાવ્યું હતું કે હું ૫૦ વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરું છું અને આ વર્ષે યુએસ, જર્મની, યુકે અને આયરલેન્ડમાં યોજાયેલા મારા શોંમાં મેં ભાગ લીધો છે. જેને પગલે સિડનીમાં પણ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મારી જિંદગીમાં પહેલીવાર મને મારા વીઝા મળ્યા નથી. મને ખબર નથી કે શું બન્યું. તે ટેકનિકલ, કારકુની કે એઆઇની ભૂલ પણ હોઇ શકે છે.
મોહનલાલે આ સ્થિતિ માટે પોતાનો દોષ હોવાનું સ્વીકારી જણાવ્યું હતું કે તે આ બાબતે ભારે દિલગીર છે. હું અસહાય છું મને માફ કરશો. તેમણે દૂરદૂરથી ડ્રાઇવ કરી શોમાં આવનારા ચાહકોની પણ માફી માંગી સિડનીમાં તેઓ ફરી તેમની ટીમ સાથે આવી શો કરશે તેવું વચન આપ્યું હતું.

