New Delhi તા.29
દેશની હાઈકોર્ટમાં કેસના ચુકાદા સામે થયેલી અપીલનો ચુકાદો અનામત રાખવાના સતત વધી રહેલા વલણ સામે સર્વોચ્ચ અદાલતે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને તમામ હાઈકોર્ટને વધુમાં વધુ ત્રણ મહિના જ ચુકાદો અનામત રાખી શકશે તેવું જણાવીને આ સમયગાળા દરમ્યાન ચુકાદો આપવા આદેશ આપ્યા છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે હાઈકોર્ટ માટે મહતમ સમય મર્યાદા ત્રણ માસની નિશ્ચિત કરાઈ છે અને જો તે મામલો સુપ્રીમકોર્ટમાં આવશે તો જામીનના કેસમાં શકય હશે ત્યાં સુધી બીજા દિવસે જ સુપ્રીમકોર્ટ ચુકાદો આપી દેશે.
ચીફ જસ્ટીસ સૂર્યકાંતની ખંડપીઠે આજે આ અંગે રજીસ્ટ્રાર જનરલ મારફત તમામ હાઈકોર્ટને આ આદેશ પહોંચાડવા જણાવ્યું છે. જેમાં હાઈકોર્ટ માટે ચુકાદો અનામત રાખવાની સમય મર્યાદા ત્રણ માસની કરવામાં આવી છે. આ ઉપરાંત જામીનના કેસમાં એક દિવસમાં ચુકાદો આપવા જણાવ્યું છે અને જે દિવસે ચુકાદો અપાય તે જ દિવસે જેલના અધિકારીને પણ તેની જાણ કરવાની રહેશે.
સર્વોચ્ચ અદાલતે સાથોસાથ એ પણ જણાવ્યું છે કે જે જે મામલામાં કોઈ વ્યક્તિ જેલમાં હોય તો અંડર ટ્રાયલ માટે તે જ દિવસે અથવા વધુમાં વધુ એક દિવસમાં ચુકાદો આપવાનો રહેશે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે આ પ્રકારના ચુકાદામાં ઓપરેટીવ એટલે કે જે આખરી આદેશ અપાય છે તે તુર્તજ જાહેર કરવું જરૂરી બનશે અને વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે.
જયારે વિસ્તૃત ચુકાદો સાત દિવસમાં અપલોડ કરવાનો રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો આ નિયમનું પાલન કરવામાં નહી આવે તો અન્ય બેન્ચને મામલો સોંપાઈ શકે છે. 30 દિવસમાં કારણ અપલોડ નહી કરાય તો નવી બેન્ચને તે ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંગે સર્વોચ્ચ અદાલતે અન્ડર ટ્રાયલ કેદીને જામીન અપાય કે તેને 24 કલાકમાં જ જેલમુક્ત કરવાનો આદેશ રાજય સરકારોને આપે છે.
આ અંગે પણ સર્વોચ્ચ અદાલતે તમામ રાજયોને નોટીસ આપી છે. હાલમાં જ ઝારખંડ હાઈકોર્ટે લગભગ ત્રણ વર્ષ સુધી ચુકાદો અનામત રાખ્યો હતો જે વિવાદ ચીફ જસ્ટીસ સુધી પહોંચ્યો હતો અને તેના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે.

