Morbi, તા.10
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયામાં બ્લોક નં. એમ-365 માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા (50) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક બોટલ દારૂ
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ ભડીયાદ કાંટા નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 275 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ ડાયાભાઈ રાઠોડ (25) રહે. ભડીયાદ કાંટે જંગલેશ્વર મંદિર પાસે મોરબી વાળાની સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
બાળકી સારવારમાં
મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે મુસ્કાન ઝાકીરભાઇ (11) નામની બાળકીને તેના પિતાએ માથાના ભાગે છરી મારી હતી જેથી કરીને ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
યુવાનને મારમાર્યો
ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ સેરસિયા (35)ને બેલા ગામ પાસે આવેલ રેન્જ સીરામીક નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

