Gandhinagar,તા.૧૯
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં દૂધના ભાવ અને ડેરી બદલવા મુદ્દે ચાલી રહેલો વિવાદ આજે વધુ વકર્યો છે. પશુપાલકો દ્વારા આપવામાં આવેલા ‘દહેગામ બંધ’ના એલાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વહેલી સવારથી જ શહેરના મુખ્ય બજારો, વેપાર-ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રહેતા સમગ્ર પંથક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
દહેગામ પંથકના પશુપાલકો લાંબા સમયથી પોતાની એક જ માંગ પર અડગ છે કે તેમનું દૂધ અમદાવાદની ઉત્તમ ડેરી’ને બદલે ગાંધીનગરની ‘મધુર ડેરી’ માં સ્વીકારવામાં આવે. આ અંગે પશુપાલકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેઓને પોતાના વાજબી હક માટે લાંબા સમયથી લડત આપવી પડી રહી છે, છતાં વહીવટી તંત્ર દ્વારા તેમની કોઈ જ વાત સાંભળવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિવાદ શાંત પાડવા માટે ‘ઉત્તમ ડેરી’ દ્વારા કિલો ફેટ દીઠ ઊંચા ભાવ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે, પશુપાલકોએ આ લોભામણી દરખાસ્તને ફગાવી દીધી છે. તેમનો મક્કમ નિર્ધાર છે કે ભાવ ગમે તે હોય, પણ તેઓ દૂધ તો ‘મધુર ડેરી’માં જ ભરાવશે. પશુપાલકોનો આ આક્રોશ ડેરી સંચાલકો સામેના મજબૂત પ્રતિકારનું પ્રતીક બની રહ્યો છે.
પશુપાલકોની આ લડત હવે માત્ર પશુપાલકો પૂરતી મર્યાદિત રહી નથી. સ્થાનિક વેપારી મહામંડળ અને વિવિધ સામાજિક સંગઠનોએ પણ પશુપાલકોના સમર્થનમાં ઝંપલાવ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં સવારથી જ સન્નાટો છવાઈ ગયો હતો અને વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી પશુપાલકોની એકતાને બળ પૂરું પાડ્યું હતું.
દહેગામ જેવું મોટું સેન્ટર સજ્જડ બંધ રહેતા હવે વહીવટી તંત્ર અને ડેરી સંચાલકો પર દબાણ વધ્યું છે. પશુપાલકોની આ એકતા આગામી દિવસોમાં શું વળાંક લે છે અને મધુર ડેરીમાં દૂધ સ્વીકારવાની માંગ સંતોષાય છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.

