Ahmedabad તા.12
બે દિવસની સૌરાષ્ટ્ર મુલાકાત બાદ ગઈકાલે અમદાવાદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્જને આવકાર્યા બાદ બંને મહાનુભાવો સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને અહી તેઓએ હૃદયકુંજ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
બંને નેતાઓએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલી કરી હતી તેમજ જર્મનીના રાષ્ટ્રપતિએ ચરખા કાંતન નિહાળ્યું હતુ તથા મુલાકાત અંગે અહીની વિઝીટર બુકમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપતી નોંધ પણ મુકી હતી. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ચાન્સેલર ફ્રેડરીક સીધા અમદાવાદ જ પહોંચ્યા છે.
આમ અમદાવાદ વધુ એક વૈશ્વિક મહાનુભાવનું યજમાન બન્યુ છે અને તેઓ આજ સાંજ સુધી અમદાવાદમાં રોકાશે. મહાત્મા ગાંધી મંદિરની મુલાકાત બાદ શ્રી મોદી અને શ્રી ફ્રેડરીક સીધા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માણવા પહોંચ્યા હતા.
અહી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યુ હતું. પતંગ મહોત્સવમાં મોદી અને ફ્રેડરીક ખુલ્લી જીપમાં ફર્યા હતા અને બંને મહાનુભાવોએ ભારત જર્મની ફ્રેન્ડશીપનો પતંગ પણ ચગાવ્યો હતો. શ્રી મોદીએ હેરીટેજ પોળની મુલાકાત સમયે જર્મનીના ચાન્સેલરને પતંગનો ઈતિહાસ પણ સમજાવ્યો હતો. બાદમાં બંનેએ રીવરફ્રન્ટ ખાતે સાથે પતંગ ચગાવી હતી.
વડાપ્રધાન શ્રી મોદીએ ફીરકી પકડી હતી અને ચાન્સેલરે પતંગ ચગાવ્યો હતો. બાદમાં શ્રી મોદીએ પણ પતંગ ચગાવીને વધુ એક વખત પતંગ મહોત્સવનો આનંદ વિદેશી મહાનુભાવ સાથે માણ્યો હતો તથા બાદમાં વડાપ્રધાને અહી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો સાથે પણ મુલાકાત કરી હતી. અમદાવાદ શહેરની કેટલીક હેરીટેજ જાહેર થયેલી પોળની પણ બંને રાષ્ટ્રવડાઓએ મુલાકાત લીધી હતી.
શ્રી મોદીએ અમદાવાદની પોળોનો ઈતિહાસ અને મકાનોની બાંધણી વગેરે કેવી હોય છે તેની માહિતી જર્મનીના ચાન્સેલરને આપી હતી અને પોળોનો ઈતિહાસ જાણીને જર્મનીના ચાન્સેલર પણ અભિભૂત થઈ ગયા હતા.
બાદમાં બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર પહોંચ્યા છે જયાં ભારત અને જર્મનીની દ્વીપક્ષી શિખર બેઠક યોજાઈ છે અને તેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહિતના અનેક મહત્વપૂર્ણ કરાર થયા હતા.

