New Delhi, તા.8
ભારતીય રેલવે પોતાની ટિકટીંગ વ્યવસ્થામાં મોટો ટેકનીકલ ફેરફાર કરવા જઈ રહી છે. રેલવે ઓગસ્ટથી 40 વર્ષ જુની પેસેન્જર રિઝર્વેશન સીસ્ટમ એટલે કે પીઆરએસને નવી અને આધુનિક સીસ્ટમમાં શિફટ કરશે.
નવી સીસ્ટમથી ટિકીટ કેન્સલ કરાવવા પર રિફંડ જલદી મળશે, ટિકીટ બુકીંગ અગાઉથી ઝડપી થશે અને યાત્રીઓને રિયલ ટાઈમ જાણકારી મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ ફેરફાર દરમિયાન યાત્રીઓને પરેશાની ન હોવી જોઈએ અને ટિકિટીંગ સેવાઓ રૂકાવટ વગરની હોવી જોઈએ.
1986માં શરૂ થયેલી પીઆરએસમાં છેલ્લા 40 વર્ષમાં અનેક નાના ફેરફાર થયા. વર્ષ 2002માં ભારતીય રેલવેએ ટિકીટીંગમાં ઈન્ટરનેટનો ઉપયોગ શરૂ કર્યો. હવે તેમાં આમુલ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.
આ થશે પરિવર્તન
રિફંડઃ હાલ ટિકીટ કેન્સલ કરાવવા પર રિફંડ આવવામાં 2થી7 દિવસનો સમય લાગે છે. નવા પીઆરએસમાં પેમેન્ટ ગેટવેની સાથે બહેતર તાલમેલ થશે, જેથી ટિકીટ કેન્સલ થતા જ રિફંડની પ્રક્રિયા શરૂ થશે.
વેઈટીંગનું અનુમાનઃ નવી સિસ્ટમમાં એઆઈ અને ડેટા એનાલિટિકસનો ઉપયોગ થશે. આ યાત્રીઓને વેઈટીંગ લિસ્ટ કન્ફર્મ થવાની ચાન્સની ચોકકસ જાણકારી આપશે. ભીડવાળા રૂટસ પર સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટે રેલવેને ડેટા પણ આપશે.
નવી સીસ્ટમઃ જેમાં 2.50 લાખ ટિકીટ દર મીનીટે બુક કરવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત એક સાથે 4 લાખથી વધુ યુઝર રૂકાવટ વિના વેબસાઈટ પર લોગ-ઈન કરી શકશે.
વર્ચ્યુઅલ સ્ટેશનઃ નવી સીસ્ટમમાં `વર્ચ્યુઅલ સ્ટેશન્સ’ બનાવવામાં આવશે, આથી એ નાના સ્ટેશનો વચ્ચે પણ ટિકીટ બુક કરાવવી સરળ રહેશે, જયાં ટ્રેનનું સ્ટોપેજ તો છે, પણ ટિકીટ નહોતી મળી શકતી.
88 ટકા ટિકીટ ઓનલાઈન બુકઃ રેલવેના અધિકારીએ જણાવ્યું છે કે, આજે દેશમાં 88 ટકા ટિકીટો ઓનલાઈન બુક થાય છે. જયારે રેલવેના એપ પર વેઈટીંગ ટિકીટ કન્ફર્મ થવાના અનુમાનની ચોકકસ જાણકારી એઆઈની મદદથી આવવામાં આવી રહી છે.

