(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨
લાલપુર તાલુકાના કાનાલુસ રોડ પર ખૂંટિયાએ ઢીક મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઓડિશાના ૩૫ વર્ષીય શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજતાં મેઘપર પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, કાનાલુસ સીમમાં આવેલી એલ.સી.-૮ કોલોનીમાં રહેતા અને મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી બીજયા બેહરા સોલાબેહરા તા. ૩ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે આરબલુસ માર્કેટ સામે આવેલા કાનાલુસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક ખૂંટિયાએ તેમને ઢીક મારતાં તેઓ રસ્તા પર પટકાયા હતા અને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત બીજયા બેહરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તેમના સાથી શ્રમિક રતન બેહરા સોલાબેહરાએ પોલીસને જાણ કરતાં મેઘપર (પડાણા) પોલીસ મથકમાં બી.એન.એસ.એસ.ની કલમ-૧૯૪ મુજબ અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકના એ.એસ.આઈ. વી.સી. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

