Iran,તા.24
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ખામેનેઈનું મોત થયું હતું. જેની સત્તાવાર પુષ્ટિ ઈરાન દ્વારા 1 માર્ચ 2026ના રોજ કરવામાં આવી હતી.
9 જુલાઈના રોજ દફનવિધિ
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર 4 જુલાઈ 2026થી શરૂ થઈ રહ્યા છે. ઈરાન અમેરિકા સાથે ડીલ પર કરાર કર્યા પછી આ કાર્યક્રમને પોતાની શક્તિ અને ઈરાની સાર્વભૌમત્વના પ્રદર્શન તરીકે રજૂ કરી રહ્યું છે. 5 દિવસ પછી 9 જુલાઈ 2026ના રોજ ખામેનેઈને તેમના વતન મશહદમાં દફનાવવાની સાથે સમાપ્ત થશે. હવે યુદ્ધ સમાપ્ત થયા પછી આ તારીખ નક્કી થઈ છે. ઈરાન આ આયોજનને ભવ્ય બનાવવા માટે પૂરી તૈયારી કરી રહ્યું છે. તેહરાનમાં 4 અને 5 જુલાઈએ ખામેનેઈના દેહને જનતાના દર્શન માટે રાખવામાં આવશે.
થી 9 જુલાઈ સુધી ચાલશે ભવ્ય અંતિમ સંસ્કાર કાર્યક્રમ
તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીના સત્તાવાર નિવેદન મુજબ, ખામેનેઈના અંતિમ સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ કુલ 6 દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં ચાલશે.
4 થી 6 જુલાઈ: રાજધાની તેહરાનમાં 3 (ત્રણ) દિવસ સુધી સત્તાવાર અંતિમ સંસ્કાર વિધિ અને શોક સભા ચાલશે.
7 જુલાઈ: ઇરાનના પવિત્ર શહેર કોમ (Qom)માં વિશેષ ધાર્મિક વિધિ યોજાશે.
9 જુલાઈ: ખામેનેઈના વતન અને ઉત્તર-પૂર્વીય શહેર મશહદ (Mashhad)માં તેમને સત્તાવાર રીતે દફનાવવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ઇરાન અને વિશ્વભરમાંથી આશરે 20 મિલિયન (2 કરોડ) લોકો સામેલ થાય તેવી સંભાવના છે.ઇસ્લામિક પરંપરાઓથી વિપરીત ખામેનેઈને દફનાવવામાં 132 દિવસ જેટલો લાંબો સમય લાગવા પાછળ ઘણાં મહત્ત્વના કારણો જવાબદાર છે. ઇરાન સરકાર પહેલા આ કાર્યક્રમ જૂનની શરૂઆતમાં મોહરમ માસની શરૂઆતમાં કરવા માંગતી હતી. પરંતુ, મેયરે સ્પષ્ટ કર્યું કે લોકો ઇમામ હુસૈન માટે પોતાના વાર્ષિક શોકને શાંતિપૂર્વક પૂરો કરી શકે તે માટે આ કાર્યક્રમ મોહરમના પ્રથમ 10 દિવસ પછી (એટલે કે 4 જુલાઈથી) રાખવામાં આવ્યો છે.

