New Delhi,તા.08
કેન્દ્ર સરકારે એવી કંપનીઓ માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જે પોતાનું પીએફ યોગદાન પોતાના ટ્રસ્ટ દ્વારા સંભાળે છે. હવે આ કંપનીઓ માટે દર વર્ષે થતા ફરજિયાત ઓડિટને બદલે રિસ્ક-આધારિત સિસ્ટમ લાગું કરવામાં આવશે. સાથે જ, આ ટ્રસ્ટો તેમના કર્મચારીઓને EPFO ના દર કરતાં 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં.
નવા નિયમોનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપની વેચાય અથવા મર્જ થાય તો પણ તેમનું પીએફ ટ્રસ્ટનું સ્ટેટસ ખતમ થશે નહીં. EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે તાજેતરમાં આ નિયમોને મંજૂરી આપી છે. નવી સિસ્ટમ હેઠળ, આ પ્રાઈવેટ ટ્રસ્ટો EPFO દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક વ્યાજ દર કરતા 2 ટકાથી વધુ વધારાનું વ્યાજ આપી શકશે નહીં.
અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણય નાણાકીય સમજદારી જાળવી રાખવા અને ખૂબ જ વધારે વળતર આપતાં રોકવા માટે લેવામાં આવ્યો છે. હકીકતમાં, એવું જોવામાં આવ્યું હતું કે કેટલાક ટ્રસ્ટો ત્યારે 34 ટકા જેવું ભારે-ભરખમ વ્યાજ આપવા લાગતા હતા.
જ્યારે તેમના સભ્યોની સંખ્યા ખૂબ જ ઓછી રહી જતી હતી. ઓડિટના કિસ્સામાં હવે EPFO માત્ર એવી જ કંપનીઓ કે ટ્રસ્ટની તપાસ કરશે જેમાં જોખમ વધારે હશે અથવા જે નિયમોનું પાલન નહીં કરી રહ્યા હોય. જે કંપનીઓ નિયમો માની રહી છે, તેમનું દર વર્ષે ઓડિટ કરવું જરૂરી રહેશે નહીં.
નવા નિયમો મુજબ, જો કોઈ કંપની અન્ય કંપની સાથે જોડાય છે અથવા તેને ખરીદે છે (M&A), તો પણ તેનું EPFO હેઠળનું ‘છૂટ પ્રાપ્ત’ સ્ટેટસ યથાવત રહી શકશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતમાં લગભગ 1,000 થી 1,200 મોટી કંપનીઓ, PSUs અને ખાનગી સંસ્થાઓ છે જેમને EPFO માંથી છૂટ મળેલી છે.
આ કંપનીઓ EPF એક્ટ 1952 ની કલમ 17 હેઠળ પોતાનું PF ટ્રસ્ટ જાતે ચલાવે છે. જોકે, શરત એ હોય છે કે તેમણે તેમનાં કર્મચારીઓને EPFO ની સ્કીમ સમાન અથવા તેનાથી વધુ સારા ફાયદા આપવાનાં હોય છે.
કોઈપણ કંપની પોતાની મરજીથી અથવા કોર્ટનાં આદેશ પર જ આ છૂટ (એક્ઝેમ્પશન) ખતમ કરી શકે છે. જો કોઈ કંપની પોતાનું ટ્રસ્ટ બંધ કરે છે અથવા છૂટ છોડે છે, તો તેણે અખબારોમાં પબ્લિક નોટિસ આપવી પડશે.
આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી કર્મચારીઓના હકો સુરક્ષિત રહે. સાથે જ, બંધ થતી વખતે તે તમામ ખાતાઓને EPFOને ટ્રાન્સફર કરવા પડશે, જેથી પૈસાનો દુરુપયોગ ન થઈ શકે. આ ફેરફારોનો હેતુ સરકારી દેખરેખને મજબૂત કરવાનો, બિઝનેસ કરવામાં સરળતા વધારવાનો અને કર્મચારીઓની સુવિધા વધારવાનો છે.
નવી ગાઈડલાઈન્સ
રાહત : હવે દર વર્ષે ફરજિયાત ઓડિટ થશે નહીં, માત્ર ગેરરીતિની શંકાવાળી કંપનીઓની જ તપાસ થશે.
મર્જર : કંપનીઓ અંદરોઅંદર જોડાય છે અથવા વેચાય છે, તો પણ તેમનું ઈપીએફ ટ્રસ્ટ પહેલાની જેમ જ ચાલતું રહેશે.

