કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક, રજીસ્ટ્રેશન ફરજિયાત: મહિલા વકીલો માટે કોર્ટ ગેટથી નિઃશુલ્ક વાહન વ્યવસ્થા
Rajkot,તા.25
વકીલાત જેવા સતત માનસિક એકાગ્રતા અને તણાવની માંગ કરતા વ્યવસાયમાં મનની શાંતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ બાર અને ગોંડલ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટરના સહયોગથી એક દિવસીય “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ”નું આયોજન કરાયું છે.આ કાર્યક્રમ તા. 4 ઓક્ટોબર 2026, રવિવારના રોજ સવારે 9:00 થી બપોરે 12:45 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર “ધમ્મકોટ”, રાજકોટ-જામનગર હાઇવે, હનુમાન ધારા પાસે, રંગપર ખાતે યોજાશે.કાર્યક્રમમાં વિપશ્યનાના પ્રથમ ચરણ “આનાપાન” ધ્યાનનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ, થિયોરિટિકલ અને વ્યવહારુ સમજ આપવામાં આવશે. ધ્યાનના માધ્યમથી મનના વિકારોને સમજવા, તણાવ-ચિંતામાંથી મુક્તિ, ગુસ્સા અને અશાંતિ પર નિયંત્રણ, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતાના વિકાસ અંગે માર્ગદર્શન અપાશે.સવારે 9 થી 10 કેન્દ્રની મુલાકાત, 10 થી 12 આનાપાન ધ્યાન પ્રશિક્ષણ, 12 થી 12:30 પ્રશ્નોત્તરી અને 12:30 થી 12:45 લંચ બાદ સમાપન થશે.સંકલન કરી રહેલા એડવોકેટ સંજય એચ. પંડિતે જણાવ્યું હતું કે, “વકીલાતમાં આપણે કાયદા માટે સતત કાર્ય કરીએ છીએ, પણ મનની શાંતિ માટે સમય ફાળવવો પણ જરૂરી છે. આ કાર્યક્રમ કોઈ વિચાર લાદવા માટે નથી, પરંતુ વિપશ્યના શું છે તેનો પ્રાથમિક અનુભવ કરાવવાનો અવસર છે.”આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે. ભાગ લેવા અગાઉથી રજીસ્ટ્રેશન ફરજિયાત છે. મહિલા વકીલો માટે રાજકોટ કોર્ટ ગેટથી સ્થળ સુધી નિઃશુલ્ક વાહન વ્યવસ્થા કરાઈ છે. રજીસ્ટ્રેશન માટે રાજકોટ બારમાં તુષાર ચૌહાણ (99244 06520), ગોંડલ બારમાં દિનેશભાઈ પાતર (98257 02079), વધુ વિગત માટે સંજય પંડિત (98241 12100) અને મહિલા વકીલો માટે બીનીતા પટેલ (75749 21188) નો સંપર્ક કરવા જણાવાયું છે.

