મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડનો ચેક અર્પણ
(નયના દવે દ્વારા) Jamnagarતા.૧૨
જામનગર શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે ગઈકાલે તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસકાર્યોને વેગ આપવા માટે ભવ્ય ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કુલ રૂ. ૩,૮૫૦ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને શહેરના વિવિધ વિકાસકાર્યો માટે રૂ. ૧૦૫ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકા તરફથી મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનકુમાર મોનાણી, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, સિટી ઈજનેર તથા આસીસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની અને આસીસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રીના હસ્તે ચેક સ્વીકાર્યો હતો.
રાજ્ય સરકારની આ માતબર ફાળવણીથી જામનગર શહેરમાં આગામી સમયમાં વિવિધ માળખાકીય અને વિકાસલક્ષી કાર્યોને વેગ મળવાની સાથે શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઉદાર ફાળવણી બદલ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ વિકસિત ભારત, વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા વિકસિત અને આધુનિક જામનગરના નિર્માણમાં મોખરાનું યોગદાન આપવા મહાનગરપાલિકા પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે.

