Surat , તા.૨૨
શહેરમાં ચકચાર મચાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી માતાના પડખામાંથી માત્ર ૩ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ શહેરમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે. આ ઘટના રાત્રે લગભગ ૯ઃ૦૦ વાગ્યાના અરસામાં બની હતી. બાળકી તેની માતા સાથે બ્રિજ નીચે આવેલા શૌચાલય પાસેના ફૂટપાથ પર સૂઈ રહી હતી. અહીં લગભગ ૫૦ જેટલા ઘર વિહોણા લોકો રહેતા હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આશરે ૩૦ વર્ષનો એક શખ્સ મજૂર જેવા વેશમાં આવીને બાળકીનું અપહરણ કરી ભાગી ગયો હતો. માતાને ઘટનાની ખબર પડતાં જ ચીસોચીસ મચી ગઈ હતી.
પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપી બાળકી સાથે જતો દેખાયો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. સીસીટીવી ટ્રેકિંગ મુજબ, આરોપી બાળકી સાથે ટ્રેનમાં બેસી ગયો હોવાની માહિતી મળી છે. આશંકા છે કે તે મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જતી ટ્રેનમાં સવાર થયો હતો.
માહિતી મુજબ, બાળકીની માતા થોડા દિવસ પહેલા જ સુરત આવી હતી. વ્યક્તિગત વિવાદને કારણે તે અહીં આવી હોવાનું કહેવાય છે. પરંતુ આ ઘટના પછી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.
આ ઘટના શહેરમાં ફૂટપાથ પર રહેતા લોકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ખાસ કરીને નાનકડા બાળકો માટે સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.

