છેતરપિંડી આચરાઈ હોવાનું જણાતાં તેમણે આ મામલે રાજકોટના બે સહિત કુલ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
Vijayawada, તા.૨૬
વિજાપુર તાલુકાના દેવપુરા અને મણિપુરાના કાકા-ભત્રીજાને એકના ડબલ કરી આપવાની લાલચમાં ૧૪ લાખ ગુમાવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી આચરાઈ હોવાનું જણાતાં તેમણે આ મામલે રાજકોટના બે સહિત કુલ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગુરુવારે ત્રણ પૈકી એક આરોપી એક ઠગ સ્મશાને આવતાં તેને ઝડપી લઈ પોલીસને સોંપાયો હતો.વિજાપુર તાલુકાના નવા દેવપુરા પટેલ વાસમાં રહેતા ભરતભાઈ બળદેવભાઈ પટેલ વર્ષ ૨૦૨૧માં ગૌતમભાઈ પંચાલ (રહે. વાવડી, તા. ગાંભોઇ) પાસે ગાયો લેવા ગયા હતા. એ સમયે ગૌતમભાઈએ કહ્યું હતું કે હું પૈસાનો વરસાદ કરવાનું કામ કરું છું. તેમ કહીને તેમણે બસો અને સોની નોટોનો વરસાદ કરી બતાવ્યો હતો અને સાત હજાર રૂપિયા આપ્યા હતા. અમણે કહ્યું કે,મારા ગુરુ આવવાના છે તે વધારે પૈસાનો વરસાદ કરી આપશે. આથી ભરતભાઈ તૈયાર થઇ ગયા હતા. તેમના ગુરુ કમલેશ ઉર્ફે મહાકાલ મનુભાઈ જોષી સાથે મુલાકાત કરાવી હતી. તેઓ સ્મશાનમાં વિધિ કરી બાબરા ભૂતને પ્રસન્ન કરે છે અને પૈસાનો વરસાદ કરાવે છે તેમ જણાવ્યું હતું. પૈસાનો વરસાદ કરાવવા ધૂપ લાવવા પાંચ લાખ રૂપિયા થાય તેમ કહેતાં પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ ભરતભાઈએ તેમના ભત્રીજા પીયૂષભાઈ રાજુભાઈ પટેલ (રહે. મણિપુરા)ને આ વાત કરતાં તેમણે પણ કમલેશ જોષીને બે લાખ આંગડિયા દ્વારા મોકલાવ્યા હતા.પંદરેક દિવસ પછી ભરતભાઈ અને પિયુષભાઈ બંનેને દેવપુરા સ્મશાનમા મળ્યાં ત્યારે પિયુષભાઈએ કહ્યું કે મેં પણ કમલેશ ઉર્ફે મહાકાલને પૈસાનો વરસાદ કરવા માટે રૂ. ૫,૫૦,૦૦૦ આંગડીયુ કરેલ અને મહાકાલે દેવપુરા સ્મશાને રાત્રે બાર વાગે ભરતભાઈ અને પિયુષભાઈ બોલાવતા બંને સ્મશાનમાં ગયેલ ત્યારે વિધી કરીને થેલો આપેલ જે થેલાને લોક મારેલું હતુ. આ થેલો ત્રણ દિવસ બાદ ખોલવા કહ્યું હતું. જોકે, તેમણે વધુ દોઢ લાખ રૂપિયા માગતાં પીયૂષભાઈએ બીજા દોઢ લાખ મોકલાવ્યા હતા. તે પછી ઘરે જઈને થેલો ખોલતાં થેલામાંથી કાગળ નીકળ્યા હતા.દરમિયાન ગુરુવારે ભરતભાઈ દેવપુરા સ્મશાન યાત્રાએ ગયા ત્યારે મહાકાલને જોતાં બૂમ પાડી પરંતુ તે ભાગી ગયો પરંતુ તેની સાથે આવેલા હર્ષ ઉર્ફે હીરન હસમુખભાઈ વરીયા(રહે. મછાનગર શેરી કોઠારીયા રાજકોટ)ને પકડી વિજાપુર પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેમની ગાડીમાં તપાસ કરતાં તાંત્રિક વિધિનો સામાન, કાળાં કપડાં તથા ખોપડી, ચિલ્ડ્રન બેન્કની નકલી નોટો તથા કલર પ્રિન્ટર મળી આવ્યું હતું. આ મામલે અન્ય બે આરોપી ગૌતમભાઈ પંચાલ (રહે.વાવડી તા. ગાંભોઈ) તથા કમલેશ ઉર્ફે મહાકાલ મનુભાઈ જોષી (રહે. સી,૧૦૧ પુષ્કરધામ એપાર્ટમેન્ટ રાજકોટ) ભરતભાઈ પાસેથી ૭,૦૦,૦૦૦ અને તેમના ભત્રીજા પીયુષ પાસેથી ૭,૪૦,૦૦૦ મળી કુલ ૧૪,૪૦,૦૦૦ રૂપિયા લઈ પરત નહીં આપી છેતરપિંડી આચરી હોવાનું જણાતાં ઝડપાયેલા એક અને અન્ય બે મળી કુલ ત્રણની વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

