Ahmedabad,તા.૯
સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગાંધીનગર ખાતે પ્રથમવાર ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.
વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત જ્ર૨૦૪૭”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.
મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ’ની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ. ૬૨ હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે સંશોધન થાય છે જેનો સીધો લાભ ખેડૂતો અને દેશના નાગરીકોને થઇ રહ્યો છે, આ દિશામાં આપણી યુનિવર્સિટીઓને પણ કામ કરવું પડશે. કોઈ પણ બિઝનેસ માટે તેને અનુરૂપ ઇકોસિસ્ટમ વિકસાવી જોઈએ તો જ સારૂ પરિણામ મળી શકે. સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત દેશનું હબ બનવા જઈ રહ્યું છે તેની પાછળ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અગત્યની ભૂમિકા ભજવે છે. આ માટે યુનિવર્સિટીઓએ અલગ વ્યવસ્થા વિકસાવવી જોઈએ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચાલતા આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને એઆઇ આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી, આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે. શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. યુનિવર્સિટીઓને રાજ્યની વિવિધ નીતિઓ સાથે જોડાઈને સમાજ, ઉદ્યોગ અને ટકાઉ વિકાસ માટે જ્ઞાનને ઉપયોગી ઉકેલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવા મંત્રીએ આ પ્રસંગે સૌને ઉત્સાહિત કર્યા. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ’ને આ નવીન પહેલ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ આગામી પેઢીના વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટો અને નવીન વિચારકોને ઘડવામાં મહત્વપૂર્ણ પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા ભજવી રહ્યું છે.

