આ વિધેયકો પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો
New Delhi, તા.૧૭
લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા ત્રણ બિલો પર મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલા આ વિધેયકો પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા વિપક્ષને આ બિલનું સમર્થન કરવા અપીલ કરવામાં આવી હતી. જોકે, આખરે મહિલા અનામત સાથે જોડાયેલા આ બિલો લોકસભામાં પસાર થઈ શક્યા નહીં. બિલને લઈને સરકારને વિપક્ષનો સાથ મળી શક્યો નહીં.
લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (૧૭ એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા(Constitution Amendment Bill) વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ મુદ્દે ૫૨૮ સભ્યોએ મતદાન કર્યું છે. આ પૈકી તરફેણમાં ૨૯૮ મત પડ્યા છે, જ્યારે ૨૩૦ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મતદાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલના પરાજયની પુષ્ટિ કરી હતી. નોંધનીય છે કે, હવે લોકસભા શનિવારે સવારે ૧૧ વાગ્યે ફરી મળશે. આ પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ પર જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી દીધી છે.’
બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, “બંધારણ (૧૩૧મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તેને ગૃહમાં મતદાન દરમિયાન ૨/૩ બહુમતી મળી ન હતી. કુલ મત ૫૨૮ પડ્યા, જેમાંથી સમર્થનમાં ૨૯૮ અને વિરોધમાં ૨૩૦ મત પડ્યા. પહેલા રાઉન્ડમાં કુલ ૪૯૮ મત પડ્યા, જેમાં સમર્થનમાં ૨૭૮ અને વિરોધમાં ૨૧૧ મત પડ્યા. લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (૧૩૧મો સુધારો) સુધારા બિલના સમર્થનમાં ૨૭૮ મત પડ્યા અને ૨૧૧ મત વિરોધમાં પડ્યા. આમ, લોકસભામાં કુલ ૪૮૯ મતદાન થયું છે.
ગૃહમંત્રી અમિત શાહ નારી શક્તિ વંદન અધિનિયમ પર લોકસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ અવસરે તેમણે વિપક્ષ પર મહિલા અનામતનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષનો આ વિરોધ આ બિલના અમલીકરણ સામે નથી, પરંતુ મહિલાઓના અનામતની વિરુદ્ધમાં છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૨૯ સુધી મહિલા સશક્તિકરણના વચનને પૂરું કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, હું વચન આપું છું કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી મહિલા અનામત સાથે જ પૂર્ણ થશે.
લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલા બિલોને પસાર કરાવવા માટે સત્તારૂNDA સામે સંખ્યાબળનો મોટો પડકાર ઉભો થયો છે. વર્તમાન સ્થિતિમાં NDA પાસે લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી નથી, જેના કારણે આ મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલને પસાર કરાવવા માટે વિપક્ષના સહયોગ અથવા ગેરહાજરી પર નિર્ભર રહેવું પડશે. લોકસભામાં NDA પાસે કુલ ૨૯૩ સાંસદ છે, જે ગૃહના લગભગ ૫૪ ટકા છે, જ્યારે વિપક્ષ પાસે ૨૩૩ સાંસદ છે. આ સિવાય કેટલાક અપક્ષ અને નાના પક્ષોના સભ્યો પણ છે, જેમની ભૂમિકા આ આખા ગણિતમાં નિર્ણાયક બની શકે છે. નિયમો મુજબ, કોઈપણ બંધારણીય સુધારા બિલને પસાર કરાવવા માટે ગૃહમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના બે તૃતીયાંશ સમર્થનની જરૂર હોય છે. જો તમામ ૫૪૦ સભ્યો હાજર રહે, તો આ આંકડો ૩૬૦ સુધી પહોંચી જાય છે.

