Morbi,તા.18
હળવદના મયાપુર ગામે આધેડની માલિકીની વાડીમાં આવીને છ જેટલા શખ્સોએ આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેમ કહીને આધેડની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો તેમજ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જે બનાવમાં આધેડ સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોય તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
મયાપુર ગામે રહેતા બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા (50)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડી આવેલી છે.
અને તે વાડીએ આરોપીઓ આવ્યા હતા અને આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ફરિયાદી તથા તેના પત્ની રમીલાબેનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અત્રે ઉલેખનીય છેકે, ફરિયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન છે અને તેના પિતા ભૂદરભાઈ કંઝારીયાએ આ જમીને વેંચી નાખી હતી જે બાબતે હળવદની કોર્ટમાં હાલમાં પણ ફરિયાદીના પિતાની સામે જ કેસ ચાલી રહ્યો છે તેવામાં આરોપીઓ જમીનનો કબ્જો લેવા માટે આવ્યા હતા અને વર્ષોથી ખેતીની જમીનમાં વાવણી કરતાં આધેડ અને તેના પત્નીને મારમાર્યો હતો.
વરલી જુગાર
મોરબીમાં વરિયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેતો કલ્પેશભાઇ દિનેશભાઈ મજેઠીયા (26) રહે. સોઓરડી શેરી નં-6 મળી આવેલ હોય પોલીસે 1,000 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી.

