Ahmedabad ,તા.૫
લંપટ ગુરુ આસારામને વધુ એક ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આસારામના અમદાવાદમાં આવેલા આશ્રમની જમીન ગુજરાત સરકારને પરત સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ શહેરની ૪૫ હજાર ચોરસ મીટર જેટલી જમીન પર બનેલો આસારામનો શાહી મહેલ તૂટી જશે.
ગુજરાતના અમદાવાદમાં ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ સરકાર દ્વારા આરંભી દેવાઈ છે. આ માટે સરકારે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની જાહેરાત કરી હતી. જેમાં ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે. આ બધું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લગભગ ૬૫૦ એકર જમીન પર બનાવવામાં આવશે. ત્યારે આ સ્થળ પર પહેલેથી જ બનાવાયેલ આસારામ આશ્રમની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે હવે અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમ પર ટૂંક સમયમાં બુલડોઝર ફરશે.
કારણ કે, ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમની જમીન પરત કરવા રાજ્ય સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. ગુજરાત હાઈકોર્ટના જજ વૈભવી ડી. નાણાવટીએ ૫ ફેબ્રુઆરીએ આપેલો આ ચુકાદો મહિના લાંબી વિસ્તૃત દલીલો બાદ કરવામાં આવ્યો છે. જેથી હવે આસારામ આશ્રમની જમીનની માલિકી કાયદેસર રીતે સરકારને પરત મળશે.
આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ૫૦૦ કરોડની જમીન પર આસારામ આશ્રમ બનેલો છે. જે તૂટવાથી ૪૫૦૦૦ ચોરસ મીટરથી વધુ જમીન છુટી થશે. આ જમીન ગુજરાત સરકારને પરત મળશે, જે અગાઉ ગુજરાત સરકાર દ્વારા આસારામ આશ્રમને આપવામાં આવી હતી.
સાબરમતી વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલો આ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર બનેલો છે. ત્યારે થોડા સમય અગાઉ કોર્પોરેશને આસારામ આશ્રમને નોટિસ ફટકારી છે. ૫૦૦ કરોડ રૂપિયાની અંદાજિત કિંમતની જમીન પર ૩૨ જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ૨૧ જાન્યુઆરીના રોજ એએમસી દ્વારા ઇમ્પેક્ટ ફીની અરજીને નામંજૂર કરવામાં આવ્યા બાદ, કેસને એપ્લેટ ઓથોરિટી સમક્ષ ઝડપી નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. એએમસીની લીગલ કમિટીએ ઝડપથી નિકાલ લાવવા માટે વકીલની નિમણૂંક કરી હતી.

