મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ વિકેટકીપર પંતને આરામ આપી શકે
New Delhi, તા.૨૮
કાનપુર ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પછી ભારતે બાંગ્લાદેશ સામે ૩ મેચની ્૨૦ સીરિઝ પણ રમવાની છે. આ સીરિઝને લઈને થોડા દિવસોમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે.
આગામી સમયમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે પણ સીરિઝ રમશે. જેને લઈને પસંદગીકારો બાંગ્લાદેશ સામે કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે. ૧૬ ઓક્ટોબરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૩ મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની દૃષ્ટિએ ભારત માટે આ સીરિઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી પસંદગીકારો ઈચ્છે છે કે ટીમના મુખ્ય ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ રહે.
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ વિકેટકીપર ઋષભ પંતને આરામ આપી શકે છે. તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે. બીજા વિકેટકીપર તરીકે જીતેશ શર્માને ટીમમાં જગ્યા મળી શકે છે.
ઈશાન કિશનને ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, તેથી તે આ રેસમાં નથી. પંતને આ સિઝનમાં ૧૦ ટેસ્ટ મેચ રમવાની છે, જેને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ તેના વર્કલોડને મેનેજ કરવા પર ધ્યાન આપી રહ્યું છે.
T૨૦ સીરિઝ માટે પસંદગીકારો બુમરાહને આરામ પણ આપી શકે છે. ટેસ્ટ સીરિઝને ધ્યાનમાં રાખીને બુમરાહનું સંપૂર્ણ ફિટ રહેવું જરૂરી છે. તેથી તેને પણ આરામ આપી શકાય છે. મોહમ્મદ સિરાજને પણ આરામ મળી શકે છે. આ બંનેની જગ્યાએ હર્ષિત રાણા અને આવેશ ખાન ટીમમાં સામેલ કરી શકાય છે.
આ સિવાય યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને પણ આરામ અપાઈ શકે છે. આ બંનેના સ્થાને ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો અભિષેક શર્માને ફરી તક મળી શકે છે.
બાંગ્લાદેશ સામે ભારતની સંભવિત ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, રિયાન પરાગ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર