બે વાર હાર્ટ એટેક આવી ગયા બાદ નાદુરસ્ત રહેતા હોવાથી એસિડ ગટગટાવી ભર્યું અંતિમ પગલું
Rajkot,તા.09
શહેરના કાલાવડ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા ભીમનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લાંબા સમયની બીમારીથી કંટાળીને ૫૪ વર્ષીય આધેડે એસિડ ગટગટાવી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, ભીમનગર શેરી નંબર-૩ માં રહેતા કાળુભાઈ દેવાભાઈ સોંદરવા (ઉં.વ. ૫૪) એ ગઈકાલે પોતાના ઘરે એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે લેન્ડમાર્ક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પરિવારના જણાવ્યા મુજબ, કાળુભાઈ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. તેમને અગાઉ બે વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યા હતા. સતત નાની-મોટી બીમારીઓથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક કાળુભાઈ પોતાના ઘરે જ દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. પિતાની છત્રછાયા ગુમાવતા સંતાનો અને પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

