જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરશે તો સૌ પ્રથમ તેને નોટિસ આપી ૧૫ દિવસમાં ખુલાસો માંગવામાં આવશે
Maharashtraતા.૧૮
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ભાષા ભણાવવાનું ફરજિયાત કરી દીધું છે. શિક્ષણ વિભાગે આ અંગે એક વિસ્તૃત સરકારી આદેશ(ય્ઇ) જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે શાળાઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અનિવાર્ય શિક્ષણ અને મરાઠી ભાષા અધિગમ અધિનિયમ, ૨૦૨૦ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી જ મરાઠી વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકાર તેને અમલી બનાવવા માટે વધુ કડક બની છે.
નવા નિયમો મુજબ, જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરશે તો સૌ પ્રથમ તેને નોટિસ આપી ૧૫ દિવસમાં ખુલાસો માંગવામાં આવશે. જો શાળાનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષથી મરાઠી વિષય શરૂ કરવાનો આદેશ અપાશે.
આટલું જ નહીં, જો શાળા વારંવાર સૂચના આપવા છતાં નિયમનો ભંગ ચાલુ રાખશે, તો તેની માન્યતા રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ મામલે શિક્ષણ કમિશનર ત્રણ મહિનામાં અંતિમ નિર્ણય લેશે, જેથી રાજ્યમાં માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવી શકાય.
બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે ટેક્સી અને રિક્ષા ચાલકો માટે પણ મરાઠી ભાષાની જાણકારી હોવી ફરજિયાત બનાવી છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે, આવા નિયમો ગરીબ વર્ગના લોકોને પરેશાન કરવા માટે લાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ માત્ર રિક્ષા અને ટેક્સી ચાલકો પાસેથી પૈસા પડાવવાનું એક સાધન છે. આમ, ભાષાના મુદ્દે મહારાષ્ટ્રમાં હવે વહીવટી કડકાઈની સાથે રાજકીય વિવાદ પણ વકર્યો છે.

