રાજીનામું આપ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ ચેન્નાઈ રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે
Tamil Nadu,તા.૨
ભાજપના તમિલનાડુના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને પાંચ પાનાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ ચેન્નાઈ રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નીતિન નવીન અને સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ સાથેની બેઠક દરમિયાન અન્નામલાઈએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાર્ટીથી અલગ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે તેઓ પોતાનો અલગ માર્ગ પસંદ કરવા માગે છે. ભાજપ હાઈકમાન્ડ તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તેમને રાષ્ટ્રીય સ્તરે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આપવાની પણ તૈયારી હતી.
અન્નામલાઈના રાજીનામાની અટકળો છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહી હતી, ખાસ કરીને ૨૦૨૫માં તેમની જગ્યાએ નૈનર નાગેન્દ્રનને તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા બાદ. તેમના કેટલાક આક્રમક નિવેદનોને કારણે એઆઈએડીએમકે સાથેના ગઠબંધનમાં તણાવ વધ્યો હતો. અન્નામલાઈ ૨૦૨૦માં રાજકારણમાં જોડાયા હતા અને ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. હવે તેઓ આગળની રાજકીય રણનીતિ અંગે આગામી બે દિવસમાં સ્પષ્ટતા કરશે તેવી શક્યતા છે. આ ઘટનાને તમિલનાડુની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.

