Surat,તા,29
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓનું આકર્ષણ રહેલો સિંહ આર્ય હવે યાદોમાં જ રહી ગયો છે. કિડનીની ગંભીર બીમારી સામે લાંબી જંગ લડ્યા બાદ આર્યએ ગઈકાલે વહેલી સવારે આખરી શ્વાસ લીધો હતો. તેના મોતના સમાચાર મળતા નેચર પાર્કના કર્મચારીઓ તેમજ પ્રાણીઓ પ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ મળે અને લુપ્ત થતી વન્યજીવ પ્રજાતિઓને નજીકથી નિહાળી શકે તે હેતુથી સરથાણા ખાતે નેચર પાર્ક ઉભું કરવામાં આવ્યું છે. પાલિકાના ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડનમાં રહેલા આર્ય વર્ષ 2020માં રાયપુરથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ સુરત લાવવામાં આવ્યો હતો. ત્યારથી જ તે નેચર પાર્કની શાન અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આર્યને સિંહણ ‘વસુધા’ સાથે રાખવામાં આવ્યો હતો. બંનેની જોડી મુલાકાતીઓમાં ખાસ લોકપ્રિય બની હતી. ખાસ કરીને બાળકો અને પરિવાર સાથે આવતા લોકો આર્યને નિહાળવા માટે ઉત્સુક રહેતા હતા. થોડા સમય પહેલા આર્યના પગમાં ઈજા થતાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કરવામાં આવેલી તબીબી તપાસમાં તેના લોહીના નમૂનાઓમાં સીરમ ક્રિએટિનિન લેવલ સતત વધતું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ માટે નમૂનાઓ સુરત અને નવસારી મોકલવામાં આવ્યા હતા. જેમાં તેની કિડની ગંભીર રીતે અસરગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું.
છેલ્લા આઠ દિવસથી આર્યએ ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. તેની સ્થિતિ ગંભીર બનતાં તેને જરૂરી ફ્લુઈડ, લાઈફ સેવિંગ દવા અને અન્ય સારવાર આપવામાં આવી રહી હતી. નેચર પાર્કના ડોક્ટરોની ટીમે અંતિમ ક્ષણ સુધી બચાવ માટેના પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આર્યના મોત સાથે સરથાણા નેચર પાર્કે પોતાનો એક ગૌરવપૂર્ણ સાથી ગુમાવ્યો છે. વર્ષોથી મુલાકાતીઓના દિલમાં રાજ કરનાર આ સિંહની ગર્જના હવે કાયમ માટે શાંત થઈ ગઈ છે.

