Gandhinagar,તા,05
ગાંધીનગરમાં કમલમ ખાતે ગઈકાલે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટરજીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં મળેલી જીતની ઉજવણી ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નેતા જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધન દરમિયાન એક મોટો ભાંગરો વાટ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ્’ની રચના કરી હતી. જોકે હકીકતમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટરજીએ કરી હતી, પરંતુ રાજ્યના ટોચના નેતાઓની હાજરીમાં જાહેરમાં આ ખોટી માહિતી આપી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે જણાવ્યું કે, ‘સૌપ્રથમ તો જગદીશ વિશ્વકર્મા પાસેથી વારંવાર આવા બફાટની જનતા અપેક્ષા જ રાખી રહી છે, એટલે આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ તેમની બોલવાની શૈલી પર ઘણાં વિવેચનો થયા છે. મુખ્ય વાત એ છે કે, જે ભાજપ સમગ્ર દેશમાં ‘વંદે માતરમ્’ ગીત પર રાજનીતિ કરતી હોય, તેના ગુજરાતના પ્રમુખ જગદીશભાઈને એ જ નથી ખબર કે તેની રચના કોણે કરી હતી. તેમણે મુખ્યમંત્રી સાથે પત્રકાર વાર્તામાં એવું કહી દીધું કે ‘વંદે માતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. હકીકતમાં, બંકિમચંદ્ર ચેટરજીએ 1870માં આ ગીતની રચના કરી હતી અને 1882માં તેને પ્રથમવાર આનંદ મઠમાં ઉમેરવામાં આવ્યું હતું.’
દેશની આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવતા હેમાંગ રાવલે જણાવ્યું કે, ‘મને લાગે છે કે આ વંદે માતરમ અને સમગ્ર દેશની આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન છે. જોકે, ભારતીય જનતા પક્ષના પ્રમુખને આટલું સામાન્ય જ્ઞાન ન હોય તે સ્વાભાવિક છે, કારણ કે આઝાદીની લડાઈમાં તેમણે ક્યારેય કોઈ યોગદાન આપ્યું નથી. ઉલટાનું, આઝાદીની લડાઈમાં ભાજપના મૂળ પક્ષો જેવા કે જનસંઘ કે હિન્દુ મહાસભાએ અંગ્રેજો સાથે રહીને અને તાજના સાક્ષી બનીને દેશના શહીદોનું અપમાન જ કરેલું છે. ત્યારે, એમની પાસેથી આનાથી વધુ સારી બીજી કોઈ અપેક્ષા રાખી જ ન શકાય.’

