Prabhaspatan, તા.8
સોમનાથ ખાતે પધારી રહેલ વડાપ્રધાનના કાર્યક્રમના અનુસંધાને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહેલ છે વડાપ્રધાન તા 11-5 સોમવારના આવતા હોવાથી સદભાવના ગ્રાઉન્ડ મા વિશાળ ડોમ ઉભા કરવામાં આવી રહેલ છે અને તેના માટે ટ્રકો ભરી ને સામન આવી રહેલ છે. ત્રિવેણી સંગમ સહિતના વિસ્તારોમાં પણ તૈયારીઓ થઇ રહેલ છે એકાદ લાખ લોકો ની આવવાની શક્યતા ને ધ્યાને લઇ તૈયારીઓ થય રહેલ છે.
રોડ શો અને સભા સ્થળે લોકો ને આવવા અંદાજીત 1600 જેટલી એસ ટી બસ ફાળવવા આવી છે તેમજ વડાપ્રધાન તા.11ના રોજ 9,30 કલાકે આવી શકે છે અને 3,30 કલાકે રવાના થવાની શક્યતા રહેલ છે. આ પૂર્વે તા.10ના તેઓ જામનગર આવીને રોકાણ કરવાના છે.
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.11મી મેના રોજ ‘સોમનાથ અમૃત પર્વ’ માં સહભાગી થવા માટે પધારવાના છે, ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓની વિશદ્ ચર્ચા કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો.
કૃષિ મંત્રીએ સાગર દર્શન ખાતે યોજાયેલી બેઠકમાં ‘સોમનાથ અમૃત પર્વ’ અંતર્ગત અને વડાપ્રધાનના આગમન સમયે અને પૂર્વ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.
કૃષિ મંત્રીએ વડાપ્રધાનના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, સૂર્યકિરણ એર શો, સહિતની તમામ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી કાર્યક્રમના સુચા આયોજન માટે જરૂરી ચર્ચા કરી હતી.
સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કૃષિ મંત્રીએ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘સોમનાથ અમૃત પર્વ’ અંતર્ગત તા.11 મે ના રોજ રોડ શો, જાહેર સભા, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મંદિરમાં અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્ર સચિવ અશ્વિની કુમાર, સચિવ રાહુલ ગુપ્તા, ટ્રાન્સપોર્ટ કમિશનર ડો.રાજેન્દ્ર કુમાર, કમિશનર આલોકકુમાર પાંડે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કલેકટર એન.વી.ઉપાધ્યાય, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, અગ્રણી ડો.સંજય પરમાર, દેવાભાઈ માલમ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનની સોમનાથ મુલાકાતને અનુલક્ષીને આજે ખંભાળિયામાં બેઠક
સોમનાથ અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સોમવાર તારીખ 11 ના રોજ સવારે સોમનાથ ખાતે ઉપસ્થિત રહી અને જાહેર સભાને સંબોધિત કરનાર છે.
આ કાર્યક્રમમાં અન્ય વિસ્તારો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કાર્યકરો મહત્તમ સંખ્યાના સહભાગી થાય અને કાર્યક્રમનું સફળ આયોજન થાય તે હેતુથી આજે શુક્રવાર તારીખ 8 ના રોજ ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય `દ્વારકેશ કમલમ’ ખાતે સાંજે 4 વાગ્યે આયોજનલક્ષી બેઠક યોજવામાં આવી છે. જેમાં જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિગેરેને ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

