Ahmedabad,તા.02
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચ પૂર્વે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર અને કમેન્ટેટર સુનિલ ગાવસ્કરે આઈપીએલ મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ સાથે અન્યાય થયો છે અને આ મહા મુકાબલાને એક દિવસ માટે મુલતવી રાખવો જોઈતો હતો. ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની જીત થઈ હતી, પરંતુ GT સાથે અન્યાય થયો હતો. ગાવસ્કરના મતે, ફાઇનલ મેચને રવિવારના બદલે સોમવારે રાખેલા ‘રિઝર્વ ડે’ પર રમાડવી જોઈતી હતી જેથી બંને ટીમોને સમાન તક મળી શકે.
ગુજરાત ટાઇટન્સે શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં ભવ્ય પ્રવેશ કર્યો હતો. આ મેચ બાદ ટીમને ચંદીગઢથી અમદાવાદ આવવાનું હતું. જો કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે વરસાદના કારણે શનિવારે બપોરે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ સમયસર ઉડાન ભરી શકી નહોતી. લાંબા વિલંબ બાદ ગુજરાતની ટીમ શનિવારે મોડી રાત્રે લગભગ 10:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી અને હોટેલ પહોંચતા સુધીમાં તો અડધી રાત થઈ ગઈ હતી.
આ પ્રવાસના કારણે હાર્ડ-હીટિંગ ફાઇનલ મેચ પહેલાં ગુજરાતના ખેલાડીઓને આરામ કરવા, રિકવરી મેળવવા અને પ્રેક્ટિસ કરવા માટે 24 કલાક કરતાં પણ ઓછો સમય મળ્યો હતો.બીજી તરફ RCBની ટીમ ક્વોલિફાયર-1માં જીત મેળવીને મંગળવારથી જ અમદાવાદમાં ડેરો જમાવીને બેઠી હતી. પરિણામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુના ખેલાડીઓને ફાઇનલ મેચની પૂર્વ તૈયારી કરવા અને શારીરિક-માનસિક થાક ઉતારવા માટે પૂરા પાંચ દિવસનો પૂરતો સમય મળ્યો હતો.એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સુનિલ ગાવસ્કરે આઈપીએલના આ આયોજન સામે તીખા સવાલો કરતા કહ્યું કે “આમાં કોઈ શંકા નથી કે ખેલાડીઓને પૂરતા આરામની જરૂર હોય છે. જ્યારે તમને ખબર જ ન હોય કે તમારી ફ્લાઇટ ક્યારે ટેક-ઓફ કરશે, ત્યારે ખેલાડીઓમાં એક પ્રકારની બેચેની અને ચિંતાનો માહોલ સર્જાય છે. મુસાફરીના આ વિલંબથી માત્ર શારીરિક થાક જ નથી લાગતો, પણ તમે માનસિક રીતે પણ થાકેલા હોઉં છો. જ્યારે આપણી પાસે પહેલેથી જ ‘રિઝર્વ ડે’નો વિકલ્પ ઉપલબ્ધ હતો, ત્યારે આવી કટોકટીની સ્થિતિમાં ફાઇનલ મેચને સોમવાર પર શિફ્ટ કરવી જોઈતી હતી, જેથી ગુજરાતની ટીમ સાથે ન્યાય થઈ શકે.”ટોસ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે પણ સ્વીકાર્યું હતું કે, ક્વોલિફાયર-1 બાદ તેમની ટીમને આરામ અને તૈયારી માટે ઘણો સારો સમય મળ્યો હતો, જે ચોક્કસપણે એક વધારાનો ફાયદો છે. જોકે, તેમણે ઉમેર્યું કે ફાઇનલમાં બંને ટીમો મજબૂત હોવાથી રમત પર જ પરિણામનો આધાર રહેશે. આ મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તેઓ પણ ટોસ જીતત તો બેટિંગ જ પસંદ કરત.

