New Delhi, તા.2
દેશમાં એક તરફ હાલ વસતી ગણતરીના પ્રથમ તબકકામાં ઘર ગણતરી શરૂ થઈ છે અને લોકો પાસે કેવા ઘર છે, કેવી સુવિધા છે અને કેટલા લોકો રહે છે તે તમામ માહિતી મેળવાઈ રહી છે જયારે બીજા તબકકામાં વસ્તીગણતરીમાં કુલ પરિવારની ગણતરી થશે.
તે આગામી વર્ષથી શરૂ થશે જે દેશભરમાં 2011 પછીની સૌથી મોટી કવાયત હશે અને તેના આંકડાઓ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે 2029થી એક દેશ એક ચુંટણી અને તે પુર્વે નવા સીમાંકન સહિતની યોજનાઓમાં સરકાર આગળ વધી રહી છે તે વચ્ચે એવી ચર્ચા છે કે આગામી વર્ષે જે રાજયો ચુંટણીમાં જઈ રહ્યા છે ત્યાં તેના નિશ્ચિત સમય કરતા વહેલી ચુંટણીઓ યોજાય તો આશ્ચર્ય થશે નહી.
ખાસ કરીને ઉતરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉતરાખંડ, મણીપુર ઉપરાંત આગામી વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ ચુંટણીઓ યોજાઈ રહી છે અને તે સમયે જ જનગણનાની કાર્યવાહી પણ શરુ હશે.
અલગ અલગ રાજયોની વિધાનસભાઓની મુદત પુરી થઈ રહી છે અને તેમાં ગોવામાં આગામી વર્ષે 14 માર્ચ, મણીપુરમાં પણ 13 માર્ચ, પંજાબમાં 16 માર્ચ, ઉતરાખંડમાં 28 માર્ચ, ઉતરપ્રદેશમાં 22 મે, ગુજરાતમાં 11 ડિસેમ્બર, હિમાચલમાં 11 ડિસેમ્બરના વિધાનસભાની મુદત પુરી થાય છે.
તેથી માનવામાં આવે છે કે આગામી વર્ષે જે રાજયોમાં પ્રથમ છ મહિનામાં વિધાનસભા ડયુ છે ત્યાં કદાચ આ વર્ષના અંત સુધીમાં ચુંટણીઓ યોજાઈ શકે છે. જેથી આગામી વર્ષે પ્રારંભમાં વહીવટીતંત્ર પર જનગણનાનું દબાણ પણ રહે નહી.
કારણ કે વસ્તીગણતરીના આધારે લોકસભા અને વિધાનસભાની સીમાંકનની પ્રક્રિયા થનાર છે. ખાસ કરીને આ અંગે જે રીતે ભાજપ તૈયારી કરી રહ્યું છે તેથી અન્ય પક્ષો પણ સાવધ થઈ ગયા છે.

