ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યારા અજીત મૌલાનો જેલમાંથી કબજો મેળવ્યો
Harpalsinh Jadeja ,Rajkot,તા.13
શહેરમાં ૮ વર્ષ પૂર્વે આજીડેમના પટ માંથી મળેલા બાળકના ઘડ વિનાના માથાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપાઈ છે. હવે આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે જેલ માંથી હત્યારા અજીત મૌલાનો જેલ માંથી કબજો મેળવ્યો છે. આ હત્યામાં અજીત સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે અને કોણે મદદ કરી અને માથું મળ્યા બાદ ઘડ ક્યાં ફેક્યું તે સહિતની બાબતો ઉપર ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે.મોરબી રોડ પર બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીના એક મકાનમાં બંગાળી બાળ મજૂરોને ગોંધી રાખી ક્રુરતા ગુજારાતી હોવાની ઘટનામાં પશ્ચિમ બંગાળની કાલના પોલીસ રાજકોટ આવી હતી અને ક્રાઈમ બ્રાંચ, SOG., AHTUની ટીમને સાથે રાખી ૨૧ બાળકોને મુકત કરાવાયા અને સિવિલ હોસ્પિટલમાં બાળકોનું તબીબી પરિક્ષણ કરાવાતા એક બાળક પર ઠેકેદાર અજીત મૌલાએ હદે બર્બરતા ગુજારી હતી કે તેના મૂત્ર માર્ગ અને ગુદાના ભાગે ઈજા થઇ હતી. ઈજાગ્રસ્ત બાળકને સારવારમાં ખસેડાયો છે. આરોપી પશ્ચિમ બંગાળના અજીત અજમત મૌલા વિરૂધ્ધ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી કાલના પોલીસ તેને ઉઠાવી ગઈ હતી.
પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાનો વતની અજીત અજમત મૌલા ઇમિટેશનનું કામ કાજનું કારખાનુ ધરાવતો હોય વતનમાંથી બાળ મજુરોને અહીં લઈ આવતો હતો. પાંચ હજાર રૂપિપયા માસિક પગાર આપી સવારે નવથી રાત્રે કયારેક મોડી રાત સુધી 12-15 કલાક કામ કરાવતો હતો. જમવામાં પણ ભાત કે આવુ જ આપતો અને બાળકોનું શોષણ કરતો હતો. અજમત બાળ મજુરોને માર મારતો હોવાની પોલીસ પુછપરછ માં જાણવા મળ્યું હતું.
અજીત અજમત મૌલાની ચુંગાલ માંથી મુક્ત કરાયેલા ૨૧ બાળકોને પશ્ચિમ બંગાળ પરત મોકલવામાં આવ્યા ત્યારે એક પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમનો પુત્ર શુભમ હાસદા પણ આઠ વર્ષ પહેલાં અજમત સાથે રાજકોટ આવ્યો હતો, પરંતુ તે ૨૧ બાળકોમાં પરત આવ્યો નથી આ માહિતીના આધારે કાલના પોલીસે ફરી તપાસ શરૂ કરી હતી. અને અજીત મૌલાની પૂછપરછ દરમિયાન તેણે શુભમની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. આ સમગ્રે મામલે રાજકોટ પોલીસે શુભમના માતા –પિતાને ખાસ ટ્રેનની ટીકીટ મોકલી રાજકોટ બોલાવ્યા હતા અને તેમનો ડીએનએ ટેસ્ટ કરી વર્ષ ૨૦૧૮માં મળેલા ઘડ વગરના માથાનો ડીએનએ ટેસ્ટ કરાયો હતો આ ટેસ્ટનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ડીએનએ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સત્તાવાર આ હત્યા કેસનો ભેદ ઉકેલાયો હોય પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ ખાસ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચની સોપી છે.આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા અજીત અજમત મૌલાનો કબજો લીધો હતોં અને તેને રાજકોટ લાવવા માં આવ્યો છે. આઠ વર્ષ પહેલાં નદીના પટમાંથી એક અજાણ્યા બાળકનું ધડ વગરનું માત્ર કપાયેલું માથું મળી આવ્યું હતું. તે સમયે કોઈ પુરાવા ન મળતા આ રહસ્યમય મર્ડર કેસ પોલીસ માટે મોટો પડકાર બની ગયો હતો. હવે આ હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આ હત્યામાં અજીત મૌલા સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેમજ માથું મળ્યા બાદ હવે ઘડ અંગેની તપાસ કરશે, જેમાં અજીતની મદદ કરનારના નામ પણ ખુલે તેવી શક્યતા છે.