(એચ.એસ.એલ),Junagadh,તા.૧૫
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા અને એશિયાટિક સિંહોના દર્શન કરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ રહેશે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો આ નિર્ણય વન્યજીવોની સુરક્ષા, કુદરતી પ્રક્રિયાઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.
વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેતી હોવાથી સફારી માર્ગો પર અસર થાય છે. ખાસ કરીને જંગલના કાચા રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઈ જવાની સ્થિતિ સર્જાય છે. જેના કારણે વાહનોની અવરજવર જોખમી બની શકે છે. આ પરિસ્થિતિમાં પ્રવાસીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સફારી સેવાઓને અસ્થાયી રીતે બંધ રાખવામાં આવે છે.
સાસણ ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં વહેતી હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ નદીઓમાં ચોમાસા દરમિયાન ઘોડાપૂર આવવાની સંભાવના રહે છે. નદીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં જંગલના અનેક વિસ્તારોમાં જોખમ ઊભું થાય છે. આવી સ્થિતિમાં સફારી માટે જતા વાહનો અને પ્રવાસીઓની સુરક્ષા જાળવવી મુશ્કેલ બની શકે છે. તેથી વન વિભાગ દ્વારા પૂર્વ સાવચેતીના ભાગરૂપે સફારી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચોમાસાની ઋતુ વન્યજીવો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જંગલમાં કુદરતી પ્રક્રિયાઓ સક્રિય રહે છે અને અનેક પ્રાણીઓ માટે પ્રજનન તેમજ વસવાટનો મહત્વનો સમય હોય છે. વન્યજીવોને કોઈપણ પ્રકારની માનવીય ખલેલ ન પહોંચે અને જંગલનું કુદરતી સંતુલન જળવાઈ રહે તે માટે પણ સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
વન વિભાગ દ્વારા દર વર્ષે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાર માસનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ એ જ પરંપરા મુજબ આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલમાં વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હવે આગામી ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે નહીં. ચોમાસું પૂર્ણ થયા બાદ માર્ગોની સ્થિતિ અને સુરક્ષાની સમીક્ષા કર્યા પછી સફારી ફરી શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર જવાની જીદ કરતા અમદાવાદ રિંગ રોડ પર પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ, પોલીસે જેસીબી આડું રાખીને રસ્તો રોક્યો
(એચ.એસ.એલ),અમદાવાદ,તા.૧૫
કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા દરમિયાન અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટની ઘટના સામે આવી હતી.
ખેડૂતોએ કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસની સભામાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કેટલાક ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો, જે બાદ સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
બીજી તરફ, ન્યાયની માંગ સાથે નીકળેલી ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધવાની જીદ પર અડગ રહ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
અમદાવાદ રિંગ રોડ પર પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે જેસીબી મશીન આડું રાખીને ખેડૂતોનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતો દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાને પગલે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.

