કાનાલુસ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી
Rajkot તા.૧૫
રાજકોટ. Western Railwayના મહાપ્રબંધક (જનરલ મેનેજર) શ્રી રામાશ્રય પાંડેએ રાજકોટ-ઓખા રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાનાલુસ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ તેમજ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી.
વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે રાજકોટ-ઓખા રેલવે સેક્શનમાં રેલ ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિવિધ સેફ્ટી માપદંડોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. તેમણે રેલ સંચાલનની સેફ્ટી અને ગુણવત્તા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી.
નોંધનીય છે કે નિયમિત સેફ્ટી નિરીક્ષણ સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા નિરીક્ષણો દ્વારા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જાળવી રાખવાની સાથે-સાથે મુસાફરોની સેફ્ટી પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.
કાનાલુસ રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ, મોડ્યુલર શૌચાલય, રનિંગ રૂમ સહિતની અન્ય મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓની ઉપલબ્ધતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને કર્મચારીઓના કલ્યાણ સંબંધિત વિવિધ પાસાઓની પણ સમીક્ષા કરી હતી.
મહાપ્રબંધકે રેલવે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને સેફ્ટી, કાર્યક્ષમતા તેમજ મુસાફરોને કેન્દ્રમાં રાખીને અપાતી સેવાઓના ઉચ્ચ માપદંડો જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

