Narmada,તા.૧૬
Narmada જિલ્લામાં ભાજપનું રાજકારણ હંમેશા ગરમાયેલું રહે છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો છેલ્લા ૨ દિવસથી ચાલતો વિવાદ હજુ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજપીપળા ખાતે ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખનું અપમાન થયાના આરોપ લાગ્યા.કાર્યક્રમમાં ધારાસભ્યને બોલવા ન દેવાતા દર્શનાબેન અકળાયા હતા. ચાલુ કાર્યક્રમ દરમિયાન ઉભા થઈને નીકળી ગયા હતા. ધારાસભ્યના અપમાનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. ન્યાયની માંગ સાથે ધારાસભ્ય દર્શનાબેન ગાંધી ચોક પાસે ગાંધીજીની પ્રતિમા નીચે ધરણા પર બેસી ગયા હતા. જોકે પ્રદેશ કક્ષાએથી આશ્વાસન મળ્યા બાદ ધારાસભ્ય એ હાલ પૂરતા પોતાના ધરણાં સમેટી લીધાં છે.
ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ભાજપના મહામંત્રી દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે. આગામી અઠવાડિયામાં પક્ષના સંગઠન સાથે આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમની રજૂઆતને સાંભળવામાં આવશે અને વિવાદનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે. ચર્ચા પૂર્ણ થયા બાદ આગામી કાર્યક્રમ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે. દર્શનાબેને જિલ્લા ભાજપનું સંગઠન બદલવા માગ કરી હતી. સંગઠન નહીં બદલાય તો વિધાનસભામાં મોટા નુકસાનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ દરમિયાન સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખો, ઉપપ્રમુખો અને કાર્યકર્તાઓ દર્શનાબેન દેશમુખના કાર્યાલયે પહોંચ્યા હતા અને ખુલ્લેઆમ ધારાસભ્યને સમર્થન જાહેર કર્યું હતું. સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો ધારાસભ્યને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રદેશ કક્ષાએથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જે પણ નિર્ણય કરશે તેમાં તેઓ સંપૂર્ણપણે સાથે રહેશે.
ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પણ સમાજના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય એ જણાવ્યું કે, ’’જો આદિવાસી સમાજ આંદોલનનો માર્ગ અપનાવશે તો તેઓ પણ તેમાં જોડાશે.’’ સમગ્ર વિવાદમાં સાંસદ મનસુખ વસાવા પણ ખુલ્લેઆમ દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા છે. સાંસદે કહ્યું કે, ’’દર્શનાબેનને તેમના મતવિસ્તારમાં બોલવાનો સંપૂર્ણ અધિકાર છે. જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ વારંવાર પક્ષના વરિષ્ઠ નેતાઓનું અપમાન કરે છે. લોકો માટે કામ કરતા નેતાઓનું અપમાન કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ માત્ર દર્શનાબેનનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે.’’ આ સાથે જ સાંસદે હાઈકમાન્ડને નિલ રાવને જિલ્લા પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી છે.
વિવાદ વધતા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવે આખરે મૌન તોડ્યું છે. રાવે જણાવ્યું કે, ’’પક્ષમાં કોઈ વિવાદ નથી, માત્ર ગેરસમજ ઊભી થઈ છે. જેને ચર્ચા દ્વારા દૂર કરવામાં આવશે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ મારા વડીલ છે અને હું ધરણા સ્થળે જઈને ધારાસભ્ય સાથે મુલાકાત કરીશ.’’ સમગ્ર ઘટનાને લઈ નર્મદા જિલ્લા ભાજપની એક વરિષ્ઠ ટીમ ગાંધીનગર જઈને પ્રદેશ કક્ષાએ રજુઆત કરશે. પ્રદેશ સંગઠન આ વિવાદને કેવી રીતે ઉકેલે છે, નિલ રાવ પર શું કાર્યવાહી થાય છે, તેની પર સૌની નજર રહેલી છે.

