Ahmedabad,તા.૧૬
ગુજરાતમાં Monsoonની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પરંતુ નૈઋત્યનું ચોમાસું હજુ સુધી રાજ્યમાં વિધિવત રીતે પ્રવેશી શક્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું મહારાષ્ટ્ર વિસ્તારમાં અટકેલું હોવાથી ગુજરાતમાં તેની ગતિ ધીમી પડી છે. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં નોંધાયા છે. ખેડૂતો સહિત સામાન્ય લોકો હવે ચોમાસું ક્યારે પહોંચશે તેની રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ દ્વારા જારી કરાયેલા વિવિધ મોડલ્સ અનુસાર ગુજરાતમાં ૨૧થી ૨૫ જૂન ૨૦૨૬ દરમિયાન ચોમાસું વિધિવત રીતે બેસવાની શક્યતા જોવા મળી રહી છે. જો ચોમાસું ઝડપથી આગળ વધે તો તે નિર્ધારિત સમય કરતાં થોડું વહેલું પણ પહોંચી શકે છે. હાલના અનુમાન મુજબ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના મોડલ્સ અનુસાર ૧૮થી ૨૦ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. ત્યારબાદ રાજ્યમાં Monsoon સક્રિય બનવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતોમાં આશા જાગી છે કે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે છે.
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન ૧૫થી ૨૦ નોટ્સની ઝડપે ફૂંકાઈ શકે છે, જે કેટલાક સમયે ૨૫ નોટ્સ સુધી પહોંચી શકે છે. ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રમાં પવનની ગતિ ૨૦થી ૨૫ નોટ્સ અને ઝાપટાં દરમિયાન ૩૦ નોટ્સ સુધી જઈ શકે છે. જેના કારણે દરિયો મધ્યમથી તોફાની રહેવાની શક્યતા છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૧૭ અને ૧૮ જૂન દરમિયાન ઊંચા મોજાં અને સ્વેલ સર્જની ચેતવણી આપવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં ૨.૧થી ૨.૬ મીટર સુધીના મોજાં ઉછળી શકે છે. જ્યારે અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠે લગભગ ૧ મીટર સુધીના મોજાં જોવા મળી શકે છે. ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં દરિયાઈ પ્રવાહની ગતિ ૦.૫થી ૦.૬ મીટર પ્રતિ સેકન્ડ રહેવાની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહીની વાત કરીએ તો ૧૭ અને ૧૮ જૂન દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ૧૮થી ૨૧ જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાંની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે અને તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહી શકે છે.
અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૩૦ ડિગ્રી આસપાસ રહી શકે છે. રાજકોટમાં આંશિક વાદળછાયું વાતાવરણ સાથે મહત્તમ ૪૦ ડિગ્રી અને લઘુત્તમ ૨૭ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. સુરતમાં પવન સાથે વરસાદી ઝાપટાંની શક્યતા છે અને મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી આસપાસ રહી શકે છે. જ્યારે વડોદરામાં આંશિક વાદળછાયું વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી અને લઘુત્તમ ૨૯ ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

