Rajkot,તા.20
રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ત્રાટકેલા બુકાનીધારી શખસોએ એક ઘરને નિશાન બનાવી, વૃદ્ધને બંધક બનાવી 2 કરોડો રૂપિયાથી વધુની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, શાપર વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ બની હતી. અહીં રહેતા 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધ ઘરમાં એકલા હતા, ત્યારે 5થી 7 જેટલા અજાણ્યા બુકાનીધારી શખસો ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને બંધક બનાવી લીધા હતા અને ઘરમાં રાખેલી માતબર રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.પ્રાથમિક વિગતો અનુસાર, લૂંટારુઓ ઘરમાંથી 2.47 કરોડ રૂપિયા રોકડા અને આશરે 5થી 7 તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા છે. નોંધનીય છે કે ભોગ બનનાર જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેથી ઘરમાં આટલી મોટી રકમ રાખવામાં આવી હોવાનું મનાય છે.
કરોડોની લૂંટની આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ એસપી (SP) સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તેમજ એલસીબી (LCB) ની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે.
પોલીસે હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને બુકાનીધારી શખસોની શોધખોળ આદરી છે. ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટારુઓ કઈ તરફ ભાગ્યા છે તેની કડી મેળવવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આટલી મોટી રકમની લૂંટ પાછળ કોઈ જાણભેદુનો હાથ છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

