Ayodhya, તા. 24
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં નિર્માણ માટે રચાયેલાં ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા નાણાકીય વ્યવહારોમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
વર્ષ 2020માં મંદિર નિર્માણની શરૂઆતનાં ગાળામાં જ એક ખાનગી ઓડિટ ફર્મે પોતાનાં સત્તાવાર અહેવાલમાં ચેતવણી આપી હતી કે જો દાનમાં મળતી અબજો રૂપિયાની રકમ અને સોના-ચાંદીના દાગીનાના હિસાબ માટે યોગ્ય નિયમો બનાવવામાં નહીં આવે, તો ભવિષ્યમાં મોટી નાણાકીય ગેરરીતિઓ થઈ શકે છે. ઓડિટ ફર્મની આ આશંકા હવે સાચી સાબિત થતી દેખાઈ રહી છે, જેના કારણે મંદિર વહીવટી તંત્ર સામે મોટા સવાલો ઉભાં થયાં છે.
તાજેતરમાં રામ મંદિર ટ્રસ્ટ પર દેશ-વિદેશના ભક્તો દ્વારા આપવામાં આવેલાં કરોડો રૂપિયાનાં દાન અને સોના-ચાંદીના કિંમતી ઘરેણાંની હેરાફેરીના ગંભીર આક્ષેપો થયાં છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવેલી અસંખ્ય ભેટ-સોગાદો અને રોકડ રકમ સત્તાવાર ચોપડે ન ચડી હોવાની ફરિયાદો ઉઠતાં જ મામલો ગરમાયો છે.
આ વિવાદની ગંભીરતાને જોતાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાત્કાલિક એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ એસઆઈટીએ પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને સોંપી દીધો છે અને મંદિરનાં સ્ટાફની પૂછપરછ શરૂ કરી દીધી છે, જેનાથી સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
વિગતો મુજબ, ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ પવિત્ર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં માત્ર રોકડ સ્વરૂપે જ આશરે રૂ. 3,500 કરોડથી વધુનું દાન મળ્યું હોવાનો અંદાજ છે.
આ સિવાય મોટી માત્રામાં સોનું, ચાંદી અને હીરા જડિત ઘરેણાં પણ ભક્તોએ અર્પણ કર્યા છે. આટલી મોટી રકમ હોવા છતાં નાણાકીય હિસાબ રાખવાની પદ્ધતિ અત્યંત બિનવ્યાવસાયિક હોવાનું ઓડિટમાં કહેવાયું હતું અને નાણાકીય રિપોર્ટિંગ માટે કોઈ વ્યવસ્થિત અને કાયદેસરનો રેકોર્ડ રાખવામાં આવ્યો નહોતો.
નવેમ્બર 2020માં જ ઓડિટ ફર્મે ટ્રસ્ટનાં વરિષ્ઠ અધિકારીઓની વિનંતી પર સુધારાત્મક પગલાં લેવા ભલામણ કરી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, વ્યવહારોના દરેક સ્તરે જવાબદારી નક્કી કરવા માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) બનાવવી અનિવાર્ય છે.
જો કે, આટલાં વર્ષો વીતી ગયા હોવા છતાં અને હાલમાં પોલીસ તપાસ ચાલું હોવા છતાં, ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર આવી કોઈ જઘઙ કે આંતરિક ઓડિટ રિપોર્ટનો કોઈ જ ઉલ્લેખ નથી, જે વહીવટની અપારદર્શિતા અને બેદરકારીને ખુલ્લી પાડે છે.
ઓડિટ ફર્મે પોતાનાં રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે, જો યોગ્ય ડેટા મેનેજમેન્ટ અને કર્મચારીઓની નિમણૂક નહીં થાય, તો ભ્રામક અને ખોટા હિસાબો રજૂ થવાની પૂરી સંભાવના છે.
ખાસ કરીને ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતાં સોના-ચાંદીના દાગીના માટે પ્રોપર ‘સ્ટોક રજિસ્ટર’ રાખવાની કડક સલાહ આપવામાં આવી હતી. ટ્રસ્ટનાં સંચાલકોએ આ મહત્વની સલાહને બિલકુલ ગંભીરતાથી ન લીધી, પરિણામે આજે ભક્તોનાં કિંમતી ઘરેણાં ગાયબ હોવાનાં આક્ષેપો સામે આવી રહ્યાં છે અને ટ્રસ્ટ રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયું છે.
આ ઉપરાંત, હજારો કર્મચારીઓ હોવા છતાં ટ્રસ્ટમાં કોઈ યોગ્ય હ્યુમન રિસોર્સ (HR) વિભાગ જ નથી. બેંકના હિસાબો મેળવવા કે રોજબરોજની નાણાકીય ડેટા એન્ટ્રી કરવા માટે કોઈ લાયકાત ધરાવતો એકાઉન્ટન્ટ સ્ટાફ રાખવામાં આવ્યો ન હતો.
કોઈપણ નાણાકીય વ્યવહાર કે ડેટા એન્ટ્રી સમયે કોઈ ‘સેક્નડ અથવા થર્ડ વેરિફિકેશન ચેક’ એટલે કે બીજી કે ત્રીજી વારની ચકાસણીની વ્યવસ્થા જ નહોતી. આવી વ્યવસ્થા ન હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી હિસાબમાં ગરબડ કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
રિપોર્ટમાં ડિજિટલ ડેટા સુરક્ષાને લઈને પણ સૌથી ચોંકાવનારો ભાગ સામે આવ્યો છે. ટ્રસ્ટની ઓનલાઈન સિસ્ટમ જે આઈટી કંપની સંભાળતી હતી, તેની સાથે સંવેદનશીલ ડેટા મેનેજમેન્ટ કે ડેટા ચોરી અટકાવવા અંગેનો કોઈ સત્તાવાર કરાર કે નિયમાવલી જ નહોતી.
આઈટી કંપનીની કામગીરી પર નજર રાખવા માટે ટ્રસ્ટ પાસે પોતાનો કોઈ આઈટી એક્સપર્ટ પણ નહોતો. ઓડિટે સાફ કહ્યું હતું કે, આઈટી પોલિસીના અભાવે ડેટાની સુરક્ષા જોખમમાં છે અને ખોટા ટ્રાન્ઝેક્શન કે ડેટા ચોરી થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ સનસનાટીભર્યા ખુલાસા બાદ દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને વિપક્ષી પક્ષ કોંગે્રસે આ વિવાદ મુદ્દે સીધો સરકાર પર પ્રહાર કર્યો છે. બીજી તરફ, આ ગંભીર ક્ષતિઓ અંગે જ્યારે મીડિયા દ્વારા ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપત રાય અને મુખ્ય એકાઉન્ટન્ટનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો.
ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું અને કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ટ્રસ્ટનાં જ અંદરના સૂત્રોનું કહેવું છે કે, જો 2020માં જ ઓડિટ ફર્મની સલાહ માનીને યોગ્ય આંતરિક વ્યવસ્થા ગોઠવી દીધી હોત, તો આજે ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ પવિત્ર સ્થાનને આવા વિવાદોનો સામનો કરવો પડ્યો ન હોત.

