Ahmedabad તા. 24
ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની સીધી અસર જોવા મળી રહી છે, જેનાં કારણે ચોમાસાની શરૂઆત હજી સુધી થઈ શકી નથી. હવામાન વિભાગનાં સત્તાવાર આંકડાઓ અનુસાર, જૂન મહિનામાં 22 તારીખ સુધીમાં રાજ્યમાં સરેરાશ 59.2 મિલીમીટર વરસાદ થવો જોઈતો હતો, જેની સામે માત્ર 14.5 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે.
આમ, ચોમાસાનાં પ્રારંભિક તબક્કામાં જ 76 ટકાની સરખામણીએ ભારે ઘટ નોંધાતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને ખરીફ પાકની વાવણી પર પણ તેની માઠી અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે.
ચોમાસું મોડું પડવાનાં કારણે રાજ્યભરમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ એટલે કે 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ ઉપરાંત રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર કે રાહતની આશા નથી.
અમદાવાદ હવામાન વિભાગનાં ડાયરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું છે કે, હાલમાં ઉત્તર ગુજરાતથી શરૂ કરીને સૌરાષ્ટ્ર થઈને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી એક ટ્રફ એટલે કે લો પ્રેશર સર્જાયું છે.
આ સિસ્ટમનાં કારણે રાજ્યનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જાહેર થવા માટે હજુ 3 થી 5 દિવસ જેટલો સમય લાગી શકે છે.
હવામાન વિભાગનાં પૂર્વાનુમાન મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.
જ્યારે 24 અને 25 જૂન દરમિયાન પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં આ વરસાદી માહોલ યથાવત રહેશે. જો આગામી દિવસોમાં ચોમાસું ઝડપથી આગળ નહીં વધે, તો જૂન મહિનાની વરસાદની આ ખાધ હજુ વધુ ચિંતાજનક સ્તરે પહોંચી શકે છે.
દેશમાં ચોમાસાએ રફતાર પકડી : મહારાષ્ટ્ર, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં વરસાદ થશે
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ સક્રિય બન્યું છે, જેનાં કારણે દક્ષિણ અને પૂર્વ ભારત બાદ હવે ઉત્તર ભારતનાં વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. ખાનગી હવામાન એજન્સી ‘સ્કાઇમેટ’ ના જણાવ્યાં અનુસાર, હાલમાં દેશ પર એક સાથે ઘણી સક્રિય હવામાન સિસ્ટમો કામ કરી રહી હોવાથી વરસાદનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.
આ સિસ્ટમ્સના પ્રભાવથી મોનસૂન હવે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહેલેથી જ ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન વિભાગનાં તાજા પૂર્વાનુમાન મુજબ, આગામી સમયમાં કેરળ, કર્ણાટક, પૂર્વોત્તર ભારત અને સિક્કિમમાં ભારે વરસાદનો સિલસિલો યથાવત રહેશે. બીજી તરફ, ઉત્તર ભારતનાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR માં ગાજવીજ અને પવન સાથે ધૂળભરી આંધી અને હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ ઉપરાંત, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સહિત દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

