કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને અયોધ્યાના રામમંદિરના દાનની રકમની ઉચાપતના કિસ્સાએ આઘાત પહોંચાડયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તપાસની ખાત્રી આપી છે પરંતુ લોકોની શ્રધ્ધા સાથે રમાતી રમત ક્યારે અટકશે તેની ખબર નથી પડતી. ચોરી કરતા લોકોનેભગવાનથી ડરવાની સલાહ આપે છે પરંતુ ભગવાનના મંદિરના વહીવટકારો જ કટકી લેતા પકડાય છે. મંદિરોમાં થતી દાનના આવક કરોડોમાં હોય છે. તેનો પાઇપાઇનો હિસાબ રાખવો વહીવટદારોની ફરજ છે પરંતુ મદિરોના વહીવટમાં થતી ગોબાચારીના અહેવાલો છાશવારે ચમકે છે.
અનેક મંદિરોમાં સરકારે વહીવટદારો નિમીને આડેધડ વપરાતા પાસા પર અંકુશ મુકવામાં સફળતા મેળવી છે. તેમ છતાં પૈસો કેવી રીતે પોતાની તરફ સેરવી લેવો તેની આવડત અનેક લોકો પાસે હોય છે. દાનની રકમનું શું થશે તે વિશે કોઇ વિચારતું નથી. મંદિરોમાં જતો વર્ગ દાન માટે, મંદિરોમાં ફરતા સેવકો માટે, બહાર બેસતા કે ફરતા ભિક્ષુકો વગેરે માટે અલગ બજેટ રાખે છે. કેટલાક શ્રધ્ધાળુઓ ધાર્મિક પ્રવાસ દરમ્યાન પરચુરણ સાથે રાખે છે. મંદિરોમાં વિવિધ સ્તરે દાન પેટી રખાય છે જેમકે ગાયના ઘાસના પૈસા, વિવિધ ભોગ માટેના પૈસા, ભગવાનના વસ્ત્રો માટેના પૈસા વગેરે વગરે.
શ્રધ્ધાળુઓ દાન પેટી છલકાવી દે છે. કેમકે તે લોકો દાનનો મહિમા સમજીને દાન કરે છે. દાનની રકમમાંથી પૈસો લેવાની દાનત રાખનારાઓ ભ્રષ્ટાચારી રાજકારણીઓ કરતા પણ વધુ બદમાશ હોય છે. દેખાવમાં સજ્જન અને હિસાબોમાં ચોખ્ખા લાગતા લોકો પૈસો જોઇને લપસી પડે છે. તેમને પૈસાનો યોગ્ય વહીવટ કરવાનું કામ સોંપાયું હોય છે પરંતુ તે ઘરભેગું કેવી રીતે કરવું તે વિચારતા હોય છે. આપણે ત્યાં લોકો મંદિરોમાં ચાલતા ગેરવહીવટના વિવાદમાં બહુ પડતા નથી કેમકે દરેક માને છેકે જે ખોટું કરશે તે ભરશે. જોકે જ્યારે વાત લાખોની ઉચાપતની હોય ત્યારે શ્રધ્ધાળુઓ પણ સમસમી જાય છે.
આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરની વાર્ષિક આવક ૧૫૦૦ કરોડ રૂપિયા છે જ્યારે વૈષ્નો દેવી અને સુવર્ણમંદિરની આવક ૫૦૦ કરોડ જેટલી છે. શિરડીના સાંઇબાબા મંદિરની આવક ૪૮૦ કરોડ છે જ્યારે સબરીમાલા મંદિરની આવક ૨૪૫ કરોડ જેટલી છે. કરોડોની આવકમાં આળોટતા આ મંદિરોનો વહીવટ યોગ્ય હાથોમાં છે કે કેમ તે ચકાસવું જોઇએ પરંતુ અનેક વાર દરેક મંદિરો વિવિધ વિવાદમાં ફસાયેલા છે. શ્રધ્ધાળુઓ માટે દાનની રકમ ક્યાં વપરાય છે તે વિશે બહુ ચિંતા નથી હોતી પરંતુ જ્યારે ચોરીની વાતો બહુ ચર્ચાય છે ત્યારે લોકો દાન આપતા પહેલાં અચકાય છે.
અયોધ્યામાં રામમંદિરને મળેલી દાનની રકમમાં ઉચાપત બાબતે સરકારે સીટની રચના કરી છે. આવી ઉચાપત કરનારાઓ સામે કડક હાથે કામ લઇને સરકારે દાખલો બેસાડવો જોઇએ જેથી અન્ય મંદિરોના વહીવટકારો ઉચાપત કરવાથી દૂર રહે . ખરેખર સાચું જ કહ્યું છે કે જેમને ભગવાને બનાવ્યા તે જ આજે ભગવાનને બનાવી રહ્યા છે.

