ટેન્કર ૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ માલ ખાલી કરતી વખતે ૭,૩૩૫ લિટર ડીઝલની ઘટ જણાઈ હતી
Jamnagar તા.૨૭
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર સ્થિત ન્યારા કંપનીના ઝાખર ગેટ પરથી ભરાયેલ ડીઝલના ટેન્કરમાંથી માર્ગમાં જ ૭,૩૩૫ લિટર ડીઝલની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટેન્કરના ડ્રાઇવર વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, દાદરા અને નગર હવેલીના સિલવાસા ખાતે રહેતા તથા ગ્લોબલ પેટ્રોકેમ સોલ્યુશન કંપનીના સંચાલક અજીતસિંહ હંસરાજસિંહે તેમની કંપનીનું ટેન્કર નં. ડીએલ-૦૧-જીડી-૯૪૩૧માં આશરે ૩૫,૦૦૦ લિટર ડીઝલ ભરી વાડીનારથી છત્તીસગઢના કોરબા જિલ્લાના બ્યુરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનરલ્સ (પ્રા.) કંપની ખાતે મોકલ્યું હતું. ટેન્કર ૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ માલ ખાલી કરતી વખતે ૭,૩૩૫ લિટર ડીઝલની ઘટ જણાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટેન્કરના ડ્રાઇવર સુભાષસિંહ શિવ બહાદુરે જામનગરથી કોરબા વચ્ચેના માર્ગમાં અલગ-અલગ સ્થળોએ ટેન્કરમાંથી ડીઝલ કાઢી તેની ગેરકાયદે વેચાણ કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ છે.
આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) કલમ ૩૧૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

