Surat,તા.16
સુરતમાં ચંદની પડવાની ઉજવણી પહેલા ઘારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઘારીની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. મીઠાઈની વિવિધ દુકાનો પરથી ઘારીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.
તહેવારોની ઉજવણીમાં અવ્વલ નંબરે રહેતા સુરતીઓનો પોતાના તહેવાર એવો ચંદની પડવો આવી રહ્યો છે. આ ચંદની પડવાના તહેવાર દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ગાડી અને ભૂસુ ઝાપટી જાય છે. આ તહેવાર દરમિયાન લોકોને આરોગ્યપ્રદ ઘરી અને ભૂસુ આરોગ્યપ્રદ મળે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં મીઠાઈ અને ઘારીનાં વેચાણ કરતી સંસ્થામાં આજે દરોડા પાડ્યા હતા. દરેક ઝોનમાં જુદી-જુદી ટીમ બનાવીને ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે સવારથી જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં માવા અને ઘારીનાં સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન શહેરના ભાગળ ખાતે આવેલી વિવિધ દુકાનોમાંથી સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સેમ્પલની ચકાસણી બાદ જો કોઈ સેમ્પલ ચકાસણીમાં નિષ્ફળ જશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.