► ધ્રુવી એન્ટરપ્રાઇઝના એક જ સમાન ફોન-પાન નંબરના આધારે 6 રજીસ્ટ્રેશન પકડાયા બાદ 220 જેટલી બનાવટી નોંધણીનો ધડાકો
► 200 બોગસ કંપનીઓના આધારે કરોડોની જીએસટી ચોરી ઉપરાંત હવાલા-મની લોન્ડ્રીંગ ખુલવાનો નિર્દેશ
Ahmedabad, તા.17
200 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરીને કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડની તપાસમાં હવે એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટની એન્ટ્રી થઇ છે. રાજકોટ સહિત સાત શહેરોના 23 સ્થળોએ આજે સવારથી મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જીએસટી ચોરી ઉપરાંત મની લોન્ડરીંગ કૌભાંડનો પણ પર્દાફાશ થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
ઇડીના દરોડાને પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વેપાર-ઉદ્યોગકારોમાં ખળભળાટ સર્જાયો છે. ઇડી (એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી ઇન્ટેલીજન્સના ડીરેક્ટોરેટ જનરલની નોંધ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દાખલ કરેલી ફરિયાદ-કેસના આધારે આજે સવારથી રાજકોટ, ઉપરાંત અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, વેરાવળ, સુરત, કોડીનાર સહિત સાત શહેરોના 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઇઝ તથા અન્ય પેઢીઓને સાંકળતા જીએસટી ચોરીના કેસના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માલ સામાનની સપ્લાય કર્યા વિના જ બોગસ બીલનાં આધારે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા સંગઠિત ચેનલ રચીને બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને તેની ઉંડાણપૂર્વકની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ સમક્ષ ડીરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સે કરેલી ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે એક સરખા મોબાઇલ નંબર, ઇમેલ આઇડી તથા પાન નંબર ધરાવતી ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના 6 બોગસ રજીસ્ટ્રેશન પકડાયા હતા. સમાન ઓળખ સાથેના આ તત્વોએ34 બોગસ રજીસ્ટ્રેશન મેળવ્યા હતા.
34માંથી 11 બોગસ પેઢીઓ ગુજરાતમાં હોવાનું માલુમ પડ્યું હતું. આ કેસની વધુ ઝીણવટભરી તપાસમાં એવો પર્દાફાશ થયો હતો કે 34બોગસ પેઢીઓમાં રજીસ્ટ્રેશન માટે રજુ કરાયેલા પાન નંબર, મોબાઇલ નંબરતથા ઇમેલ આઇડીના આધારે વધુ 186 રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા તે પૈકી 50 ગુજરાતમાંથી મેળવાયા હતા. પ્રથમ તબકકેપકડાયેલા 36 અને પછીના 186 રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યા જ છે. આરોપીઓ દ્વારા 200થી વધુ બોગસકંપનીઓ ઉભી કરીને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું છે.
ગુજરાત પોલીસ દ્વારા છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી જ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ કાયદા 2002 હેઠળ પણ તે ગુનો બને છે અને મની લોન્ડરીંગ કાયદા હેઠળ તપાસ માટે સવારથી ઇડી દ્વારા દરોડા ઓપરેશન હાથ ધરાયું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે જીએસટી ચોરી ઉપરાંત હવાલાકાંડનો પણ પર્દાફાશ થવાની આશંકા છે. ઇડી દ્વારા રાજકોટમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ તથા તેના મળતીયાઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. શંકાસ્પદ દસ્તાવેજો સહિતની જપ્તી થવાના સંકેત છે. રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે જ સાંઠગાંઠ ધરાવતી પેઢીઓ પર પણ તવાઇ ઉતારવામાં આવી છે અને તપાસમાં વધુ ચોંકાવનારા ધડાકા ભડાકા થવાનું માનવામાં આવી રહ્યું છે.