ચંદ્રગુપ્ત મૌર્યનાં મિત્ર, માર્ગદર્શક અને મહાન વ્યક્તિત્વ એવું એ ચાણ્કયનું મૂળનામ વિષ્ણુગુપ્ત હતું. એ એવો પ્રબળ પુરુષ. જેણે એકાંકી અને અસહાય ચંદ્રગુપ્તમૌર્યને ટેકો આપ્યો હતો. અન્યાયી અને જુલ્મી નંદવંશનો નાશ કરવામાં પોતાની બુદ્ધિ અને રાજનીતિને પ્રયોજી અને મગધના સમ્રાટ તરીકે ચંદ્રગુપ્તની સ્થાપના કરવા સુધી ઝઝુમ્યો.
એનું કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને ચાણ્કય નીતિ એ તો પ્રત્યક્ષ સંસારમંથનમાંથી પ્રાપ્ત થયેલા મોતી છે. એના અનુભવનો એ રણકો છે. માનવજાત-સમાજ-રાજનીતિ-વ્યવહારની કુશળતાની સત્યતા એણે એમાં સિદ્ધાંતોપૂર્વક રજુ કરી છે. જૈ વૈશ્વિકમાં ફેલાયેલા માનવો તથા ધર્મો માટે આગવું પ્રદાન છે. જેના કેટલાંક સૂત્રો અહિં આપણા સહુને ઉપયોગી બને તેવા રજુ કર્યા છે.
૧) ત્રણ બાબતોથી ક્યારેય તૃપ્ત થવું ન જોઈએ. એક શાસ્ત્રના અભ્યાસથી બીજુ પ્રભુનામનું સ્મરણ કરવાથી અને ત્રીજું દાન કરવાથી.
૨) જે ક્ષમા કરવા યોગ્ય વ્યક્તિ હોય તેને દંડ ન કરવો.
૩) દાન સમાન બીજુ કોઈ વશીકરણ નથી.
૪) માતા સૌથી મોટો ગુરુ છે.
૫) જેના આધારે જીવન જીવતા હોય તેની ક્યારેય ટીકા ન કરો.
૬) શત્રુની પણ રોટી છીનવી લેવી નહીં.
૭) જ્ઞાની, મૂર્ખ, મિત્ર અને ગુરૂ સાથે કદીપણ વિવાદમાં ઉતરવું નહીં.
૮) જો માતા દુષ્ટ થઈ જાય તો તેનો ત્યાગ કરી દેવો અને પોતાનો હાથ પણ જો વિષ ભરેલો થઈ જાય તો તેને કાપી નાખવો.
૯) સ્વાર્થિ વ્યક્તિને પોતાના સ્વાર્થમાં કોઈ દોષ દેખાતો નથી.
૧૦) અત્યંત સુંદર હોવાથી સીતાનું અપહરણ થયું. અત્યંત અભિમાને રાવણનો ભોગ લીધો, વધુ પડતી દાનવૃત્તિ હોવાને કારણે રાજા બલિને મુસીબતો, સહન કરવી પડી. એટલે અતિનો બધે ત્યાગ કરવો.
૧૧) કોયલનું સૌંદર્ય એના સ્વરમાં સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતામાં, કદરૂપ લોકોનું સૌંદર્ય તેની વિદ્યામાં અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામા છે.
૧૨) સાપ-રાજા-સિંહ- સૂવર-બાળક-બીજાનું કૂતરું અને મૂર્ખ વ્યક્તિ-આ સાત સૂતેલા જ સારા તેમને જગાડવા નહીં.
૧૩) સમર્થ અને શક્તિશાળી મનુષ્ય માટે કોઈપણ કાર્ય મુશ્કેલ નથી. વ્યાપારીઓ માટે કોઈ સ્થાન દૂર નથી, વિદ્વાનો માટે કોઈ પણ દેશ-પરદેશ નથી અને જે વ્યક્તિની વાણી મધુર છે. તેને માટે કોઈ પારકું નથી.
૧૪) મુશ્કેલીઓમાં રાજયસભામાં સ્મશાનમાં અથવા મૃત્યુ સમયે જે વ્યક્તિ સાથ ન છોડે, હકીકતમાં એજ સાચો
ભાઈ છે.
૧૫) લાંબા નખવાળા પ્રાણીઓ નદીઓ, મોટા શિંગડા વાળા પશુઓ, શસ્ત્રધારી વ્યક્તિઓ, સ્ત્રીઓ અને રાજપરિવારો- આ છ ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો.
૧૬) જેકુમિત્ર છે તેનો ક્યારેય વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેનો પણ વિશ્વાસ ન કરવો, ક્યારેય ગુસ્સામાં આવીને તે મિત્ર પણ તમારી ગુપ્ત વાતો જાહેર કરી શકે છે.
૧૭) ગંદા કપડા પહેરનાર, ગંદા દાંતવાળા, એટલે કે દાંતની સફાઈ ન કરનારા અતિશય ખાનાર, નિષ્ઠૂર વેણ બોલનાર સુર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે સૂતા રહેનાર વ્યક્તિને લક્ષ્મી આરોગ્ય, સુંદરતા, અને શોભા ત્યજી દે છે. એ વ્યક્તિ ભલેને વિષ્ણુ પોતે જ કેમ ન હોય.
૧૮) અસંતોષી બાહ્મણો, સંતોષી રાજાઓ, શરમાળ, વેશ્યા,અને બેશરમ દુરાચારી આ ચારનો નાશ થાય છે.
૧૯) જે વ્યક્તિ વગર વિચારે, જોયા વિના, પહોંચ કરતા વધુ ખર્ચ કરે છે, જેને કોઈનું રક્ષણ નથી છતાંય લડાઈ-ઝઘડા કર્યા કરે, અને બધા જ ક્ષેત્રોમાં ચંચુપાત કરવા ઉતાવળોએ મનુષ્ય જલ્દી નાશ પામે છે.
૨૦) જેણે વિદ્યા દ્વારા વિનય મેળવ્યો છે. તે જ રાજા પ્રજામાં વિનય પ્રસ્થાપિત કરી શકે છે. તે બધાના હિતમાં તત્પર રહેતો હોવાથી શત્રુવગરનો થઈને પૃથ્વી ઉપર રાજ કરે છે.
૨૧) જે દેશમાં સન્માન ન મળે, આજીવિકા ન મળે, ભાઈ-ભાંડુ રહેતા ન હોય, અભ્યાસની સગવડ ન હોય તે દેશમાં ત્યાં રહેવું નહિ.
૨૨) આજ્ઞાકારી પુત્ર, પવિત્રવ્રતા સ્ત્રી અને પોતાના ઘનથી જેને સંતોષ હોય તેને આ જગત સ્વર્ગ સમાન છે.
૨૩) આ જગતમાં કોઈ દોષ વગરનું નથી.
૨૪) પ્રવાસમાં વિદ્યા મિત્ર છે. ઘરમાં પત્ની મિત્ર છે. ઔષધ તો રોગીનું મિત્ર છે. અને ધર્મ તે મરણનો મિત્ર છે.
૨૫) જૂઠ અને કપટ લાંબુ ચાલતું નથી.
૨૬) સર્પનાં દાંતમાં ઝેર હોય છે. માખીના માથામાં ઝેર હોય છે. વીછીંની પૂંછડીમાં ઝેર હોય છે. પરંતુ દુષ્ટ પુરુષનાં સારાયે અંગોમાં ઝેર હોય છે.
૨૭) માણસ પોતેજ પોતાના દુ:ખનું કારણ બને છે.
૨૮) પ્રિય હોય છતાં અહિંતકારી હોય તેવું વચન કદી ન બોલવું.
૨૯) કામવાસના સમાન કોઈ રોગ નથી.
મોહ જેવો કોઈ ભયંકર શત્રુ નથી.
ક્રોધ જેવો કોઈ અગ્નિ નથી.
જ્ઞાન (વિદ્યા) જેવું કોઈ સુખ નથી.
૩૦) વિદ્યાર્થીઓએ નીચેની આઠ બાબતો ત્યજી દેવી. કામ-ક્રોધ-લોભ-સ્વાદ-શણગાર- કૌતુક અતિનિદ્રા અને આળસપણું.
सागरा भेदमिच्छन्ति प्रलयंडपि न साधवाः।।
(चाणक्य नीति)
‘સમુદ્ર પ્રલયસમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી કિનારાને ઓળંગી જાય છે. અને વિનાશ વેરે છે. પરંતુ સજ્જન વ્યક્તિ ભયંકર આપત્તિ કે કપરા સમયે પણ પોતાની મર્યાદામાં જ રહીને પોતાની ક્ષમતા સિદ્ધ કરે છે.