New Delhi,તા.09
ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પર્થમાં જીત સાથે કરી હતી. પરંતુ એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પિંક બોલ ટેસ્ટ મેચ 10 વિકેટથી જીતી હતી. હવે ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. ડે-નાઈટ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને એક સંદેશ આપ્યો છે.
ટેસ્ટ મેચ 5 દિવસની હતી પરંતુ માત્ર 7 સેશન 2 દિવસ અને એક સત્રમાં સમાપ્ત થયું હતું. પરંતુ સુનીલ ગાવસ્કર નથી ઈચ્છતાં કે ખેલાડીઓ હોટલના રૂમમાં અથવા જ્યાં તેઓ આગામી બે દિવસ રોકાવાના હોય ત્યાં આરામ કરે. સુનીલ ગાવસ્કરે કહ્યું, બાકીની મેચોને ત્રણ મેચની શ્રેણી તરીકે જુઓ.
ભૂલી જાઓ કે તે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી હતી. હું ઈચ્છું છું કે, ભારતીય ટીમ આગામી બે દિવસ પ્રેક્ટિસ કરે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે હોટેલના રૂમમાં કે જ્યાં તમે જવાનું વિચારી રહ્યાં હો ત્યાં બેસી શકતાં નથી કારણ કે તમે અહીં ક્રિકેટ રમવા આવ્યાં છો.
તેમણે આગળ કહ્યું કે, ’તમારે આખો દિવસ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમે સવારે અથવા બપોરે પ્રેક્ટિસ કરી શકો છો, જે પણ સમય તમને અનુકૂળ હોય. પરંતુ આ દિવસો બગાડો નહીં. જો ટેસ્ટ મેચ પાંચ દિવસ ચાલી હોત તો તમે અહીં મેચ રમી રહ્યાં હોત.
તમારે તમારી જાતને લયમાં આવવા માટે થોડો વધુ સમય આપવો પડશે કારણ કે તમે રન બનાવ્યાં નથી. તમારાં બોલરોને લય મળી નથી. કેટલાક અન્ય ખેલાડીઓ છે જેમણે પણ મેદાન પર સમય પસાર કરવો જોઈએ.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે ’વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન વિશેની આ વાત મને યોગ્ય નથી લાગતી. પ્રેક્ટિસ અંગેનો નિર્ણય કેપ્ટન અને કોચે લેવો જોઈએ. કોચે કહેવું જોઈએ, ’અરે, તમે 150 રન બનાવ્યાં છે, તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. અરે, તમે મેચમાં 40 ઓવર ફેંકી છે, તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. ખેલાડીઓને આ વિકલ્પ આપવો જોઈએ નહીં.
જો કે, સુનિલ ગાવસ્કરે અનુભવી જસપ્રિત બુમરાહ, રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્રેક્ટિસ સેશનમાં આવશે કે નહીં તે નક્કી કરવાનું ખેલાડીઓ પર છોડી દીધું છે. પરંતુ તે ઈચ્છે છે કે યુવા ખેલાડીઓને વધુ પ્રેક્ટિસ કરવાની તક મળે.
ભારતીય દિગ્ગજએ કહ્યું કે ’બુમરાહે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. જો રોહિત અને વિરાટને પ્રેક્ટિસ કરવાની જરૂર નથી તો ઠીક છે કારણ કે તેઓ અનુભવી ખેલાડી છે. બાકીનાં ખેલાડીઓને પ્રેક્ટિસ માટે આવવા દો.