Rajkot, તા. 30
રાજકોટ જિલ્લા સહિત રાજયમાં હાલ બાળકો માટે જીવલેણ એવા ચાંદીપુરા વાયરસનો ભય પ્રસરેલો છે ત્યારે રાજકોટ શહેરી વિસ્તારમાં ચાર માસથી માંડી બાર વર્ષ સુધીના બાળકોમાં આ રોગના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા હતા. જે પૈકી રૈયા રોડના એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું મહાપાલિકાએ આજે જાહેર કર્યુ છે.
શહેરી વિસ્તારમાં કોઇ દર્દીનું મૃત્યુ થયું નથી પરંતુ મોટા મવા વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર એક બાળકનું શંકાસ્પદ લક્ષણોથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું હતું. જોકે આ બાળકને પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો ન હતો. વળી શહેરના જે અમુક વિસ્તારમાં શંકાસ્પદ કેસ મળ્યા છે તેમાં અમુક કેસ પોશ એરીયાના છે.
એટલે કે જયાં સ્વચ્છ વાતાવરણ હોય તેવા ઘરમાંથી કેસ મળતા આરોગ્ય વિભાગે સ્કુલ, સ્કુલવાન સહિતની જગ્યાએ તપાસ કરી હતી પરંતુ ત્યાંથી કોઇ જોખમી હાલત ન મળતા બાળકો બહાર ગયા હોય ત્યાંથી ચેપ લાગ્યાની પણ શંકા છે.
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)ના કુલ 8 સેમ્પલ પરીક્ષણ માટે જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ દર્દીના રીપોર્ટ નેગેટીવ તેમજ એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે જયારે અન્ય બે દર્દીના રીઝલ્ટ પેન્ડીંગ છે.
અટકાયત કામગીરી
મનપાના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારમાં કુલ 1346 જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવેલ છે જેમાં કુલ 7632 જેટલી વસ્તી આવરી લેવામાં આવેલ છે. સર્વે દરમ્યાન કુલ 16 જેટલા તાવના કેસ જોવા મળેલ જે તમામને સ્થળ પર જ સારવાર આપવામાં આવેલ છે તેમજ અન્ય કોઈ ચાંદીપુરાના લક્ષણો ધરવતા કેસ જોવા મળેલ નથી. સર્વેની કામગીરી દરમ્યાન 3821 જેટલા ઘરોમાં મેલેથીઓન ડસ્ટીંગ કરેલ છે.
આ ઉપરાંત કુલ 22 જેટલા ઘરોમાં મચ્છરના પોરા જોવા મળતા 208 ઘરમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે. સર્વેમાં 1824 જેટલા પાત્રોની તપાસ કરવામાં આવેલ જે પૈકી 25 જેટલા પાત્રોમાં પોરા મળી આવતા પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે. શહેરમાં 391 જેટલા ઘરોમાં સોર્સ રીડકશન, 130 ઘરોના 341 રૂમમાં ફોકલ સ્પ્રેની કામગીરી કરવામાં આવી હતી.