Rajkot,તા.7
નવા વર્ષની શરૂઆતથી જ સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા કરચોરોને નિશાન બનવાઈ રહ્યા છે.અને રાજયમાં ઠેર-ઠેર દરોડા પાડી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી રહી છે. ત્યારે, જી.એસ.ટી.વિભાગે પાન-મસાલા અને તમાકુંનાં કિલરોને ત્યાં દરોડા પાડી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લીધી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ચોકકસ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ અને સર્વેલન્સના આધારે સ્ટેટ જીએસટી વિભાગે 2 જાન્યુઆરી 2025ના રોજ ચાંગોદર અને એસ.જી.હાઈવે સહિત અમદાવાદમાં 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને બિન નોંધાયેલ ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી.
નોંધાયેલ કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી લગભગ રૂ।.9.22 કરોડની કરચોરી મળી આવી હતી.આ કરચોરીની રકમ કસુરદારો દ્વારા સ્વીકારી અને ચૂકવવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ સરકારી આવકના રક્ષણ અને વસુલાત માટે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.