Mumbai,તા.15
ટીમ ઇન્ડિયાએ જૂન મહિનામાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. જેનાં માટે ભારતીય ક્રિકેટનાં દિગ્ગજ સુનીલ ગાવસ્કર પહેલાથી જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ટીમની પસંદગી અંગે સલાહ આપી ચૂક્યાં છે.
ગાવસ્કરે સ્પોર્ટ્સસ્ટારમાં પોતાની કોલમમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી કે તાજેતરમાં ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 19 ખેલાડીઓની ટીમ મોકલી હતી, જેમાં રિઝર્વ ખેલાડીઓ પણ સામેલ હતાં.
આ મોટી ટીમ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેણે કહ્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમનું કદ ઘટાડવું જોઈએ. સુનીલ ગાવસ્કરે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં લોજિસ્ટિક સમસ્યાઓનાં કારણે મોટી ટીમ મોકલવી જરૂરી હતી, પરંતુ ઈંગ્લેન્ડમાં આ પદ્ધતિ અપનાવવી જોઈએ નહીં.
તેમણે કહ્યું કે “જો 16 થી વધુ ખેલાડીઓને મોકલવામાં આવે છે, તો તે પસંદગીકારોની તરફથી મૂંઝવણ દર્શાવે છે, જે સારો રીતે સંકેત નથી. કારણ કે બીસીસીઆઈ પાસે મોટી ટીમ મોકલવાનું બજેટ છે, તેનો અર્થ એવો ન હોવો જોઈએ કે દરેકને તે આપવામાં આવે છે.
સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે કેટલાક વધારાનાં બોલરોને સામેલ કરવાની સલાહ આપી હતી, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ બોલરો ટીમનો ભાગ હોય તો જ તેમને ઈન્ડિયા કેપ આપવામાં આવે.
તેમણે કહ્યું કે “વિદેશનાં પ્રવાસો પર પ્રેક્ટિસ માટે હંમેશાં બોલરોની અછત રહે છે, તેથી કેટલાક બોલરોને સાથે લેવાનું ઠીક છે, પરંતુ તેમને ઈન્ડિયા કેપ ન આપવી જોઈએ.”
સુનીલ ગાવસ્કરે પણ ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમે માત્ર એક ટુર મેચ અને ઈન્ટ્રા-સ્કવોડ ગેમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે ઓછું હતું. તેમણે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બને તેટલી પ્રેક્ટિસ મેચોનું આયોજન કરવાનું સૂચન કર્યું છે, જેથી ખેલાડીઓની તૈયારીને વધુ મજબૂત બનાવી શકાય.