Mumbaiતા.18
બેંક ખાતાઓમાં નોમીનેશન ન હોવાના કારણે સેંકડો ખાતાઓમાં હજારો કરોડનાં કોઈ દાવેદાર થતા નથી. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ હવે તમામ બેંકો તથા નાણા સંસ્થાઓને ગ્રાહકોની ફીકસ્ડ ડીપોઝીટ, બચત ખાતા તથા લોકરમાં ફરજીયાત નોમીનેશન કરાવવાની સુચના આપી છે. જુના તથા નવા બન્ને ગ્રાહકોનાં ખાતાઓમાં નોમીનેશન કરાવવા તાકીદ કરી છે.
રિઝર્વ બેન્કનાં ધ્યાન પર આવ્યુ છે કે, બેંકો-નાણા સંસ્થાઓના સેંકડો ખાતાઓમાં નોમિનેશન નથી આ સંજોગોમાં ખાતા ધારકનું અવસાન થાય તો નાણાં મેળવવામાં પરિવારજનો-વારસદારોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. નોમિનેશન હોય તો સરળતાથી ખાતુ ટ્રાન્સફર થઈ શકે અને તેના નાણાં વારસદારને મળી શકે.
રિઝર્વ બેન્કે જારી કરેલા પરિપત્રમાં એમ જણાવવામાં આવ્યુ છે કે, શિડયુલ કોમર્સીયલ બેંક, અર્બન કો-ઓપરેટીવ બેંક તથા ડીપોઝીટ મેળવતી નોન બેંકીંગ નાણા સંસ્થાઓમાં પણ ખાતા ધારકોના નોમીનેશન મેળવવા પડશે. આ માટે ગ્રાહકોને તેના ફાયદા સમજાવવા પણ કહેવાયું છે.
રિઝર્વ બેન્કે એવો પણ નિર્દેશ કર્યો છે કે, બેંકો તથા નાણા સંસ્થાઓનાં બોર્ડ ઓફ ડિરેકટર્સે નિયમીત રીતે નોમીનેશન સ્થિતિની સમીક્ષા કરવી પડશે અને 31 માર્ચથી ત્રિમાસીક રીપોર્ટ પોર્ટલ પર મુકવો પડશે. ગ્રાહકોની સાનુકુળતા માટે ફોર્મમાં જ સુધારા કરવા કહેવાયું છે.