જજ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે, સ્થાનિક કામદારોના શોષણ અને અત્યાચારની ઘટનાઓ દેશભરમાં વધી છે
New Delhi, તા.૩૧
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્થાનિક કામદારોના અધિકારનું રક્ષણ કરવા કાનૂની માળખાની રચના માટે નિર્દેશ કર્યો છે. કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, દેશમાં શોષણનો ભોગ બનતા લાખો કામદારો માટે અત્યારે કોઇ અસરકારક કાયદો નથી.જજ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે, “સ્થાનિક કામદારોના શોષણ અને અત્યાચારની ઘટનાઓ દેશભરમાં વધી છે. જેનું મુખ્ય કારણ તેમના રક્ષણ અને અધિકારો માટે કાયદાનો અભાવ છે. ભારતમાં સ્થાનિક કામદારો માટે કોઇ સુરક્ષા નથી. ઉપરાંત, તેમના માટે કોઇ વ્યાપક કાનૂની ઓળખ પણ નથી. એટલે તેમણે ઓછા વેતન, અસુરક્ષિત માહોલ અને વધારે કલાકો માટે કામ કરવું પડે છે.” કોર્ટે શ્રમ અને રોજગાર મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, મહિલા અને બાળવિકાસ મંત્રાલય તેમજ કાયદા અને ન્યાય મંત્રાલયને સંયુક્ત રીતે સમિતિની રચના કરવા જણાવ્યું છે. જેમાં જે તે ક્ષેત્રના નિષ્ણાતો સ્થાનિક કામદારોના અધિકારોના નિયમ, સુરક્ષા અને લાભ માટે કાનૂની માળખું તૈયાર કરશે.સુપ્રીમે જણાવ્યું હતું કે, “સમિતિ છ મહિનામાં અહેવાલ સુપરત કરે તે ઇચ્છનીય છે. તેના આધારે ભારત સરકાર કાનૂની માળખું લાગુ કરવાની વિચારણા કરી શકે અને કામદારોની ચિંતાનો ઉકેલ શક્ય બને.”