New Delhi,તા.10
સુપ્રિમ કોર્ટે એક કેસમાં જણાવ્યું હતું કે આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સાબિત કરવા માટે સતામણી એટલી ગંભીર હોવી જોઈએ કે પીડિત પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી ન રહે. આ કહીને ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે આત્મહત્યા માટે ઉશ્કેરવાના એક કેસને ફગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એ સાબિત કરવું જરૂરી છે કે આરોપીએ મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો અથવા મદદ કરી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે યુપીનાં ડીજીપીને આદેશ આપ્યો છે કે તેઓ એસઆઇટીની રચના કરે અને તપાસ કરે કે આત્મહત્યાનું સાચું કારણ શું છે.
આ મામલો હતો :-
મામલો યુપીનાં સહારનપુરનો હતો. અરજદારે 2 નવેમ્બર, 2022 ના રોજ ફરિયાદ કરી હતી કે તેમનાં પુત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો, જેનાં કારણે તેનું મોત નીપજ્યું હતું. આ કેસની શરૂઆત અપીલકર્તાના પુત્ર ઝિયાઉલ રહેમાન (મૃતક) અને ફરિયાદીની પિતરાઈ બહેન વચ્ચેનાં સંબંધની શંકાને કારણે થઈ હતી.
અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, યુવતીનાં સંબંધીઓએ તેનાં પુત્રને માર માર્યો હતો, જેનાં કારણે તેનું મોત થયું હતું. અરજદારે યુવતીને અપમાનિત કરી હતી અને ત્રાસ આપ્યો હતો. પુત્રનાં મોતનો દોષનો ટોપલો યુવતી પર ઢોળવામાં આવ્યો હતો, જે બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ પછી, છોકરીનાં સંબંધીઓ દ્વારા છોકરાનાં પિતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ મામલે છોકરાનાં પિતાએ સુપ્રીમ કોર્ટ પાસે રાહતની માંગ કરી હતી. અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું :-
કોર્ટે પોતાનાં આદેશમાં નોંધ્યું હતું કે ચાર્જશીટ માત્ર ફરિયાદીના નિવેદનો પર આધારિત છે અને અન્ય કોઈ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી નથી. ફરિયાદીનો પક્ષ સંપૂર્ણપણે સાચો હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું, જ્યારે અન્ય શક્યતાઓ ચકાસવામાં આવી ન હતી. ટોચની અદાલતે પૂછ્યું કે શું આત્મહત્યાનું સાચું કારણ કંઈક બીજું હતું ? શું મૃતક તેની મિત્ર ઝિયા-ઉલ-રહેમાનના મૃત્યુથી નારાજ હતી ?
શું તેનાં પરિવારે તેનાં સંબંધોને નકારી કાઢયાં હતાં ? કોર્ટે કહ્યું કે ચાર્જશીટમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાના પૂરતાં પુરાવા નથી. અપીલકર્તાના આરોપોને એટલી ગંભીર રીતે ન લઈ શકાય કે તે તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી શકે. અદાલતે અપીલકર્તાઓ સામેનાં દાવાને રદ કર્યો હતો.
કોર્ટે યુપીનાં ડીજીપીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો આદેશ આપ્યો હતો. એસઆઈટીએ તપાસ કરવી પડશે કે યુવતીની આત્મહત્યા પાછળનું સાચું કારણ શું હતું. તપાસ સ્વતંત્ર રહેશે અને હાલનાં તારણોથી પ્રભાવિત થશે નહીં. તપાસ અહેવાલને બે મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. આગામી સુનાવણી 15 એપ્રિલે થશે.