વચેટિયા વકીલ ભાવેશ રૂધાણી હસ્તક લાંચ લેતા જામનગર એસીબીએ છટકુ ગોઠવી દરોડો પાડ્યો
Rajkot,તા.૫
રાજકોટ શહેરમાં અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ લાંચિયા બાબુઓ પર એસીબીનો ગાળિયો કસાઈ રહ્યો છે. અગાઉ ભ્રષ્ટ પૂર્વ ટીપીઓ એમ ડી સાગઠીયા અને ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબા વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયા બાદ બંને પાસેથી મોટી માત્રામાં અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી. જે બાદ હવે એસીબીએ પોલીસ તંત્રના લાંચિયાકર્મીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ યુનિવર્સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલ ઓળકીયાને રૂ. 25 હજારની લાંચ લેતા ઝડપી લેવાયો છે. તેની સાથે એક વચેટિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુનિવર્સીટી પોલીસ મથકના તાબા હેઠળ આવતી પંચાયત ચોક પોલીસ ચોકીમાં ફરજ બજાવતા વિપુલ ઓળકીયા નામના કોન્સ્ટેબલે વચેટિયા વકીલ મારફત ફરિયાદી પાસેથી કોઈક કારણોસર લાંચની માંગણી કરી હતી. બંને પક્ષે પૈસા મુદ્દે રકઝક થયાં બાદ અંતે રૂ. 25 હજારની રકમ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેથી તેમણે જામનગર એસીબીને આ અંગે જાણ કરી હતી.
માહિતી મળતાની સાથે જ જામનગર એસીબીના પીઆઈ વિરાણીની ટીમે છટકુ ગોઠવ્યું હતું અને અરજદારે વચેટીયા વકીલ ભાવેશ રૂડાણીને લાંચ લેતા રંગે હાથ વકીલ અને જમાદારને ઝડપી લીધા હતા. જામનગર એસીબીએ બંને ઉઠાવી લઇ અજ્ઞાત સ્થળે ખસેડી પૂછપરછ શરૂ કરી છે.
ફોજદાર ની પૂછપરછ કરાશે !!
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જયારે પંચાયત ચોકીના કોન્સ્ટેબલ અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા છે ત્યારે હવે આ વિસ્તારને સંલગ્ન પીએસઆઈને પણ પૂછપરછ માટે નોતરું મોકલવામાં આવ્યું હતું. જો કે, આ પીએસઆઈનું ફરિયાદમાં ક્યાંય નામ નહિ હોવાનું જાણવા મળી રહ્યું છે.