Ahmedabad,તા.17
કોરોનાકાળ પછી જમીન-મકાન ક્ષેત્રની અસામાન્ય તેજીએ કેટલાંક મહિનાઓથી બ્રેક લીધો છે.છેલ્લા ત્રિમાસીક ગાળામાં ગુજરાતમાં હોમલોનમાં 20 ટકાનો મોટો ઘટાડો થયો છે.ઓકટોબર-ડીસેમ્બરમાં 15211 કરોડની હોમલોન મંજુર થઈ હતી તે ગત વર્ષનાં આ ગાળામાં 18967 કરોડની હતી.
સ્ટેટ લેવલ કમિટીનાં રીપોર્ટ મુજબ હોમલોનની સંખ્યા અને રકમ બન્નેમાં ઘટાડો થયો છે. જાણકારોના કહેવા પ્રમાણે અનેકવિધ કારણોથી આ સ્થિતિ પેદા થઈ છે.જમીન-મકાનનાં ઉંચા ભાવ, મની ક્રાઈસીસ, નીતિવિષયક અનિશ્ર્ચિતતા તથા ઈન્વેસ્ટરોના બદલાયેલા માનસ જેવા કારણો જવાબદાર છે.
રાજય સરકારે જંત્રીદરમાં વધારો કરવાનું જાહેર કર્યું હોવાથી તે વિશેની અનિશ્ર્ચિતતાથી માર્કેટમાં ખચકાટ છે રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં હોમલોન ક્ષેત્રે કોઈ ચમક જોવા મળી નથી. જંત્રીદરનાં સુચિત વધારાએ માનસ ખરડાયું છે.
રસપ્રદ વાત એ છે કે, કોવિડકાળ અને તે પછીનાં વર્ષોમાં મકાન-ફલેટની ડીમાંડમાં મોટો વધારો થયો હતો. સંખ્યાબંધ લોકોએ વધારાનાં આવાસ પણ ખરીદ કર્યા હતા. હવે આવાસની કિંમત ઘટતા તથા ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હોવાથી વધુ વળતર મળવા વિશેની આશંકાથી માર્કેટ ઠંડુ પડી ગયુ છે.
આ સિવાય અન્ય રોકાણ ક્ષેત્રો સાથેની સ્પર્ધાની પણ અસર છે. સોના-ચાંદી જેવા ક્ષેત્રોમાં વધુ કમાણી થવા લાગી હોવાથી ઈન્વેસ્ટરો રીયલ એસ્ટેટમાંથી નાણાં ખેંચીને અન્યત્ર રોકાણ કરવા લાગ્યા છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોનો પ્રવાહ જળવાવાનાં આશાવાદથી નવા-નવા પ્રોજેકટો મુકનારા બિલ્ડરોને હવે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. ક્રેડાઈ ગુજરાતનાં હોદેદાર એવા એક જાણીતા બિલ્ડરે કબુલ્યુ હતું કે કેટલાંક મહિનાથી પ્રોપર્ટી ડીમાંડમાં ઓટ આવી છે.
લીકવીડીટી ક્રાઈસીસનો પણ ઓછાયો છે અને રીયલ એસ્ટેટ ક્ષેત્રને તેની મોટી અસર થઈ છે.શેરબજારની મંદીમાં લોકોના નાણા ફસાઈ જવાની પણ અસર છે. હાલ પરિસ્થિતિ એવી છે કે જાણીતા તથા સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરોના પ્રોજેકટોમાં બુકીંગ થઈ રહ્યા છે. હજુ ટુંકા ગાળામાં હાલતમાં કોઈ બદલાવ થાય તેમ નથી.